સાહિત્યિક તથ્યોની માવજત/નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને એની અધિકૃતતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને એની અધિકૃતતા

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૧

મામેરાના પ્રસંગને અનુલક્ષીને રચાયેલાં નરસિંહ મહેતાનાં પદો સૌપ્રથમ ‘નરસિંહ મેહેતાકૃત કાવ્યસંગ્રહ’ (હવે પછી ‘કાવ્યસંગ્રહ’ તરીકે ઉલ્લિખિત, સંપા. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ, ૧૯૧૩)માં મુદ્રિત થયેલાં મળે છે. એ ગ્રંથમાં ‘હારમાળાનું પરિશિષ્ટ’ એ વિભાગમાં પૃ. ૫૪૪-૪૯ પર ક્રમાંક ૧૮થી ૨૬નાં પદો મામેરાના પ્રસંગને વિષય કરીને ચાલતાં દેખાય છે. (સંપાદકે પૃ. ૫૪૪ની પાદટીપમાં પદ ૧૮થી ૨૫ મામેરાવિષયક છે એમ કહ્યું છે, ૫રંતુ ૨૬મું પદ એમના ધ્યાનબહાર રહ્યું જણાય છે.) આ ૫દો સંપાદકે ‘હારમાળા’ની પોતાની પાસેની પ્રત – જે સં. ૧૭૨૫થી ૧૭૫૦ આસપાસની એમણે માની છે – તેમાંથી ઉતાર્યાં છે, અને તનસુખરામ પાસેની સં. ૧૭૩૧ની પ્રતનો ૫ણ આધાર દર્શાવ્યો છે. એટલે કે નરસિંહના માન્ય સમય પછી ૨૦૦-૨૫૦ વર્ષ પછીની પ્રતોને આધારે અપાયેલાં આ પદો છે. આમ, આ પદોની પ્રાચીનતા બહુ ઝાઝી નથી. બીજી બાજુથી, ‘હારમાળા’નાં જ કેટલાં પદોનું કર્તૃત્વ નરસિંહનું માનવું એ પ્રશ્ન છે, તો કોઈક પ્રતમાં મળેલાં અને ઇચ્છારામ દેસાઈએ પણ ૧૪૯ પદની ‘હારમાળા’માં ન સમાવેલાં આ પદનું નરસિંહનું કર્તૃત્વ ઘણું સંદિગ્ધ બની જાય એ સ્વાભાવિક છે. આ પદોની આંતરિક તપાસ કરતાં દેખાય છે કે ૧૮મા પદમાં હારપ્રસંગે મંડળિકની સભામાં શ્રીપાત પંડિત આવ્યા અને એમણે ઉનાનો પોતાનો અનુભવ વર્ણવ્યો એ રીતે મામેરાની વાત આવેલી છે. એમાં વડસાસુએ છાબમાં બે પાણા મૂકવાનું કહ્યું ત્યાં સુધીની મામેરાની ઘટનાઓ ૧૪ કડીમાં વર્ણવાઈ છે. મામેરાના પ્રસંગની આવી અડધી રજૂઆત કરતું પદ કઢંગી રચના ને સંકલનાની છાપ પાડે છે. ઉપરાંત, એમાં ખોખલા પંડ્યા, કુંવરબાઈ વગેરેમાં પ્રાકૃત ભાવોનું જે આરોપણ થયું છે તે ઘણું વિલક્ષણ છેઃ

પંડ્યો ખોખલો ઉત્તર દે સહી, હું નોતરું ચૂકું નિશ્ચે નહીં;
અગીઆર ફદીઆં રોકડાં લઉં, તો હું આંથી ડગલું દઉં. ૮
ખરચને દોકડા દસવિશ, પંડા પોખલાને ચઢી છે રીસ;
લોહી પીતો તું મારું રહે, હું નહીં જાઉં એમ ઉત્તર કહે. ૯
તેને બમણી ખેપ આપી ઘેર, ખોખલો મોકલ્યો એણી પેર;
*
પંડો ખોખલો પોંહચ્યો સહી, નરસૈં મહેતાને વિનતી કહી. ૧૧
બેઠો થાને તું તો લંડ, શું માંડી બેઠો પાખંડ;
*
કહો ક્યાં આવ્યો મારો નિર્ધન બાપ, મારું તે મલીયું પૂરણુ પાપ. ૧૫
ભેટ્યા વેવાઈ જાણે વળગ્યું ઝોડ, શું લાવ્યા મામેરું મોડ;

પ્રેમાનંદે પણ જેની તક લીધી નથી એવું આ પ્રાકૃતીકરણ છે! એમાં વપરાયેલી ગાળાગાળીની ભાષા ‘હારમાળા’નાં અન્ય પદોની જેમ આ પદને પણ નરસિંહકૃત માનવા દે તેવી નથી. શ્રીપાત પંડિતને મુખે આ વાત મુકાયેલી છે એ બચાવ પણ કારગત નીવડે તેમ નથી. પદને અંતે નરસિંહની નામછાપ મળતી નથી એ પણ સૂચક છે. ૧૯મા ૫દમાં મામેરાના પ્રસંગના ઘણા તંતુઓ અછડતી રીતે જોડી દીધેલા દેખાય છે. આરંભમાં તાળ વાતા નરસિંહ પ્રત્યેની કુંવરબાઈની અકળામણ અને નરસિંહનો ઉત્તર આલેખાયાં છે. પછી સમોવણનો પ્રસંગ પાંચેક કડીઓમાં નિરૂપાયો છે અને છેલ્લે મામેરાની ટૂંકી ટીપ છે – ન હોય તો અમારી પાસેથી ઉછીના લો એવા વેવાઈના સૂચન સાથે. આ પદમાં પણ છેલ્લે નરસિંહની નામછાપ નથી. નરસિંહનું કર્તૃત્વ માનવાનું ભાગ્યે જ મન થાય એવી આ રચના છે. આ પદ બે પદો રૂપે અન્યત્ર મળે છે એમ સંપાદકે નોંધ્યું છે, પણ એથીયે પરિસ્થિતિમાં ખાસ ફેર પડતો નથી. સૂચવાયેલું વિભાગીકરણ સમોવણના પ્રસંગને બે પદમાં વહેંચી નાખે છે અને બન્ને પદમાં એની સાથે બીજી ઘટના જોડાયેલી રહે છે! પદ ૨૦થી ૨૩ પ્રાર્થનાનાં પદ છે. બધામાં નરસિંહની નામછાપ મળે છે એથી એ પદોને નરસિંહનાં નહીં માનવાનું પ્રથમ દૃષ્ટિએ કોઈ કારણ જણાતું નથી. એમાંથી ૨૧થી ૨૩ એ ત્રણ પદ તો નરસિંહના પ્રિય ઝૂલણબંધમાં છે. ૨૦મું પદ જુદા ઢાળનું છે, બે જ કડીનું છે અને પહેલી કડી અસ્પષ્ટ છે, તેથી જુદું તરી આવે છે અને નરસિંહનું હોવા વિશે તેમજ એના પાઠની અધિકૃતતા વિશે શંકા જાગે છે. પદ ૨૪થી ૨૬મા નરસિંહની નામછાપ છે પણ ૨૩મા પદમાં ભગવાને છાબ પૂરી અને નરસિંહને આનંદ થયો એવી પંક્તિઓ છેલ્લે આવે છે, તે પછી ૨૪થી ૨૬મા પદમાં લક્ષ્મીજીને લઈને ભગવાન આવે છે અને છાબ પૂરે છે એ ઘટના વીગતે વર્ણવાય છે. એથી, ઓછામાં ઓછું, આ સંબદ્ધ રચના નથી એની પ્રતીતિ થાય છે. નરસિંહનાં મામેરાવિષયક પદોને પછીની પરંપરા સાથે મૂકી જોવાનું પણ ફળદાયી બને તેમ છે, પરંતુ એ તપાસ નરસિંહને નામે મળતાં સઘળાં પદોને અનુલક્ષીને છેલ્લે કરવા ધારી છે. હાલ તુરત ‘કાવ્યસંગ્રહ’માં મળતાં મામેરાવિષયક પદો વિશે આપણે એટલું કહી શકીએ કે – ૧. આ પદોનું હારપ્રસંગનાં પદો સાથે સ્થાન અને તે પણ મોડા સમયની કેટલીક હસ્તપ્રતોમાં – તે હકીકત નરસિંહના કર્તૃત્વને સંદિગ્ધ બનાવે છે. ૨. આ પદોમાં મામેરાનો પ્રસંગ સળંગસૂત્ર રીતે વર્ણવાતો નથી. એમને આપણે છૂટાં પદો રૂપે જ જોવાનાં રહે છે. ૩. કેટલાંક પદોની ભાવ, ભાષા ને રચનાની કક્ષા એ પદોને નરસિંહનાં નહીં માનવા પ્રેરે એવી છે. ૪. પ્રાર્થનાનાં પદો નરસિંહનાં હોવાની વધુમાં વધુ શક્યતા ધરાવે છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૨

ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ (મુંબઈ)ના સં. ૧૯૮૬ (ઈ. ૧૯૩૦)-ના મોટા કાર્તિકી પંચાંગ (હવે પછી ‘પંચાંગ’ તરીકે ઉલ્લિખિત)-માં નરસિંહકૃત ‘મામેરા’નો ૨૫ પદોનો પાઠ નટવરલાલ ઇચ્છારામ દેસાઈએ છપાવેલો છે (પૃ. ૧૮-૨૦). શ્રી દેસાઈને મળેલી પ્રત કયા સમયની છે એ વિશે કશો નિર્દેશ નથી, પણ એ પ્રત ખંડિત હોવાનું એમણે નોંધ્યું છે. છેલ્લું ર૫મું પદ એમણે ‘કાવ્યસંગ્રહ’માંથી ઉમેર્યું છે તે ઉપરાંત પદ ૧૦, ૧૮, ૨૧ અને ૨૪ એ ચાર પદો પ્રો. ગજેન્દ્રશંકર લા. પંડ્યા પાસેથી એમણે મેળવેલાં છે. એટલે કે આ એક સંકલિત વાચના છે, સ્વતંત્ર વાચના નથી. આવી સંકલિત વાચના ઊભી કરવાનું ઔચિત્ય વિવાદાસ્પદ છે. અર્થસંગતિની દૃષ્ટિએ પણ ઉમેરાયેલાં પદ મુશ્કેલી ઊભી કરે છે. પદ ૯માં સમોવણનો પ્રસંગ આલેખાયો છે જેનું સીધું અનુસંધાન પદ ૧૧માં છે. ઉમેરાયેલું ૧૦મું પદ ૯મા અને ૧૧મા પદની જ હકીકતોને પુનરાવૃત્ત કરે છે. ૧૮મું પદ કેવળ પ્રાર્થનાનું છે એટલે એથી કંઈ મુશ્કેલી નથી ને એની કંઈ આવશ્યકતા પણ નથી. ૨૦મા પદમાં ‘છાબમાં છાયલ ચીર તે નવનવા, પૂર્યાં પીતાંબરે કાજ કીધું’ એમ વર્ણવાઈ ગયા પછી ૨૧મું પદ ‘મહેતા કહે દીકરી, ભજને તું શ્રીહરિ, કરશે પહેરામણી તેડો ડોશી’ એમ શરૂ થાય છે તે પણ પહેલી દૃષ્ટિએ જ અસંગત લાગે છે. એ જ રીતે, ૨૩મા પદમાં ‘અંતર્ધ્યાન થયાં સર્વ જોતા’ એમ કહ્યા પછી ૨૪મા પદમાં ‘બાંધી છે પળવટ શેઠ દામોદરે, જે જોયે વસ્ત્ર તે આપે કાઢી’ એમ વર્ણવાય છે એ પણ આ ઉમેરો નિરર્થક છે એમ બતાવે છે. આમ, ગજેન્દ્રશંકર પંડ્યા પાસેથી મળેલાં પદો અહીં બિનજરૂરી હતાં અને એ નરસિંહકૃત ‘મામેરા’ની બીજી પરંપરાનું સૂચન કરે છે. આ ચારે પદો હવે પછી નોંધાનારી મગનભાઈ દેસાઈ સંપાદિત વાચનામાં મળે છે એ હકીકત એ સૂચનને સમર્થન આપે છે. શ્રી દેસાઈએ એક સંકલિત વાચના ઊભી કરવાને બદલે મામેરાવિષયક પદો એકઠાં કરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે. એટલે આપણે હવે ઉમેરાયેલાં પદોને બાજુ પર રાખી ૨૦ પદોની વાચનાનો જ વિચાર કરીએ.[1] આ ૨૦ પદોમાંથી ૧૪ પદો અહીં પહેલી વાર મળે છે, ૬ પદો ‘કાવ્યસંગ્રહ’ સાથે સમાન છે. પહેલી વાર મળતાં ૧૪ પદોની આંતરિક તપાસ કરતાં જણાય છે કે પહેલું પદ નરસિંહ ઉપર શંકર પ્રસન્ન થયા તે પ્રસંગનું છે અને નરસિંહકૃત ‘પુત્રનો વિવાહ’ના પહેલા પદની લગભગ સમાંતર ચાલે છે, માત્ર ભાષા-દૃષ્ટિએ અર્વાચીનતાની છાપ પાડે છે – એમાં ‘માગની’ જેવો ભરૂચી પ્રયોગ પણ દેખાય છે! આમ જોઈએ તો, પહેલાં ચારેય પદની ભાષામાં પ્રાચીનતાના અંશો નહીંવત્‌ છે અને છેલ્લી પંક્તિમાં નરસિંહનું નામ કવિછાપની રીતે નહીં પણ પ્રસંગસંદર્ભે જ આવે છે; બીજા પદમાં તો અંતે નરસિંહનું નામ પણ નથી આવતું! પહેલા પદના પ્રથમ પુરુષ પછી બીજા પદથી ત્રીજા પુરુષની રચના પણ શરૂ થઈ જાય છે. આ બધા સંયોગો આ પદોને નરસિંહકૃત માનવામાં બાધક બને એવાં છે. છઠ્ઠા પદમાં ક્યાંક અભિવ્યક્તિ પ્રાસાદિક નથી, પરંતુ ભાષામાં પ્રાચીનતાના થોડા અંશો દેખાય છે, ‘નરસિંયા ચા સ્વામી’ એવી જાણીતી કવિછાપ મળે છે અને પ્રાર્થનાનું પદ છે, એટલે એને નરસિંહકૃત માનવાને અવકાશ રહે છે. પદ ૭ અને ૮માં પણ ખાસ મુશ્કેલી નથી, માત્ર પદ ૭માં નરસિંહની કર્તાનામછાપ નથી. ૧૧થી ૧૫મા પદની પદાવલિમાં અર્વાચીનતાની ઠીકઠીક છાયા છે ને કેટલાક અ-નારસિંહી લાગે એવા કઢંગા કે અવિશદ પ્રયોગો પણ છે :

  • મન-ઇચ્છા મુઝ તાત કને માંગીએ. (પદ ૧૨)
  • વદનહસાળી વડસાસુજી બોલિયા. (પદ ૧૨)
  • આજે કરો સતકાર સારૂં. (પદ ૧૩)
  • આવો અવસર ફરી ફરીને વળી

ક્યાં થકી આવશે કામગાળા? (પદ ૧૩)

  • મામેરૂં તારે ઘર ઘટે જેહવું,

હું કહું જો હરિ, હો અલેહેતો, (૫દ ૧૫)

  • દોશી દસવિશ ને સોની નાણાવટી, વળી ઝવેરીને શ્રીનાથ સાંધી,

તેને તડી ક્ષણું એકમાં આવજો, લાવજો મોટ મોટેરી બાંધી. (૫દ ૧૫)

  • કષ્ટે મા લાવીશ કરજ કાઢી. (૫દ ૧૫)
  • લેખે કોણ ગણીશ તારો કાહાવી. (પદ ૧૫)

૧૧મા પદમાં ‘શો છે’ ને ‘પહોંચે’નો પ્રાસ પણ નિર્બળ છે. બે પદમાં અંતે નરસિંહની કવિછાપ ન હોવી અને અન્ય પદોમાં પ્રસંગના સંદર્ભે જ છેલ્લે નામ ગૂંથાવું — એ હકીકત પણ ધ્યાનમાં લેવી જોઈએ. સમગ્રપણે જોતાં ૧૧થી ૧૫ ક્રમાંકનાં પદો નરસિંહકૃત હોવાનો ઝાઝો વિશ્વાસ ઊભો થતો નથી. ૨૦મા અને ૨૩મા પદને નરસિંહનું ન માનવા પ્રેરે એવાં કોઈ પ્રગટ ચિહ્નો નથી, પરંતુ એ બન્નેમાં છેલ્લી લીટીમાં નરસિંહની કર્તાછાપ નથી એ નોંધપાત્ર છે. ૨૩મા પદની, અલબત્ત, છેલ્લી લીટીઓ જ નથી. આ ૨૦ પદોમાં સળંગસૂત્રતા અને પરસ્પર મેળના પ્રશ્નો પણ ક્યાંક નડે છે. ચોથા પદમાં કુંવરબાઈના પત્રના ઉલ્લેખ અને તેમાં આવતા ‘આવીઓ અવસર નહિ સાચવો...’ એ શબ્દો પછી પાછો ૭મા પદમાં નરસિંહને મુખે કુંવરબાઈના પત્રનો ઉલ્લેખ થાય છે અને એમાં પણ ‘આવીઓ અવસર જો નહિ સાચવો’ એ શબ્દો પુનરાવૃત્ત થાય છે. ૮મા પદમાં કુંવરબાઈ પિતાને ખાલી હાથે આવવા માટે ઉપાલંભ આપે છે ને નરસિંહ એનો જવાબ આપે છે તે જ વાત થોડા વીગતભેદે ૯મા પદમાં પણ આવે છે. ૯મા ૫દમાં ‘આપી સમોવણ નરસૈંયાને સૂચવ્યો. એવો સમસ્ત વૈષ્ણવને ત્રુઠો’ એમ કહેવાઈ ગયા પછી ૧૧મા પદમાં વરસાદ ને એની જળરેલનું વર્ણન ચાલુ રહે છે, જોકે પ્રસંગનો પહેલાં આછો નિર્દેશ કરી પછી એનું વીગતે વર્ણન કરવાની પદ્ધતિ આખ્યાનમાં હોય છે ખરી. ૨૦મા પદમાં ‘છાબમાં છાયળ ચીર તે નવનવા પૂર્યાં પિતાંબરે કાજ કીધું’ એમ કહેવાયા પછી ૨૨મા પદમાં છાબ ભરવાનું થોડી વીગતે વર્ણન થાય છે તે પણ આ જ રીતિનું દૃષ્ટાંત ગણી શકાય. એકંદરે ૨૦ પદની વાચનામાં સળંગસૂત્રતાની દૃષ્ટિએ બહુ ઓછી મુશ્કેલી છે પરંતુ એ સમગ્રપણે નરસિંહકૃત હોવાની ઝાઝી સંભાવના નથી, કેમકે – ૧. હસ્તપ્રત પ્રાચીન હોવાની કોઈ માહિતી નથી. ૨. ઘણાં પદોમાં પદાવલિ ક્લિષ્ટ, અનારસિંહી અને અર્વાચીન પણ જણાય છે. ગજેન્દ્રશંકર પંડ્યા પાસેથી મળેલાં ચાર પદો ‘કુંવરબાઈનું મામેરું’ (સંપા. મગનભાઈ દેસાઈ)ની વાચનામાં જોવા મળતાં હોઈ એની ચર્ચા ત્યાં કરીએ એ જ ઉચિત થશે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૩

નરસિંહ મહેતાકૃત ‘હાર-સમેનાં પદ અને ‘હારમાળા” (હવે પછી ‘હારસમેનાં પદ’ તરીકે ઉલ્લિખિત, સંપા. કે. કા. શાસ્ત્રી, બીજું સંપાદન, ૧૯૫૦)માં ‘હારમાળા’ વિભાગમાં પૃ. ૪૯થી ૫૫ ઉપર મુદ્રિત પદ ૨૩થી ૨૮ મામેરાવિષયક છે. આ ૬ પદો ‘કાવ્યસંગ્રહ’નાં ૯ પદો માંહેનાં જ છે – થોડા પાઠભેદ સાથે. ‘કાવ્યસંગ્રહ’નું ૧૯મું પદ અહીં બે પદમાં વહેંચાયેલું છે એટલે વસ્તુતઃ ‘કાવ્યસંગ્રહ’નાં ૪ પદ-૨૧થી ૨૪ – અહીં ખૂટે છે. એ નોંધપાત્ર છે કે એ ચારેય પદ નરસિંહનાં પ્રિય ઝૂલણબંધમાં છે અને ત્રણ તો પ્રાર્થનાનાં પદ છે. ‘કાવ્યસંગ્રહ’નાં પદો વિશે આપણે જે નિરીક્ષણ કર્યું છે તે ‘હાર-સમેનાં પદ’માંનાં પદોને પણ સ્વાભાવિક રીતે જ લાગુ પડે. વિશેષમાં થોડીક હકીકત નોંધવાની થાય છે : ૧. કે. કા. શાસ્ત્રી “જેમાંનું દરેકેદરેક પદ નરસિંહની સુપ્રસિદ્ધ કૃતિ થવાને નિર્વિવાદ રીતે લાયક છે” (પ્રસ્તા. પૃ. ૩૦) એમ માને છે એ ‘હારસમેનાં પદ’ વિભાગમાં મામેરાવિષયક ઉપર્યુક્ત પદોમાંથી એકેયનો સમાવેશ નથી થયો. ૨. કે. કા. શાસ્ત્રી ‘કાવ્યસંગ્રહ’માંથી નરસિંહનાં હોઈ શકે એવાં હારપ્રસંગનાં બીજાં ૨૮ પદ તારવે છે. (પ્રસ્તા. પૃ. ૩) એમાં પણ ઉપરનામાંથી એકે પદનો સમાવેશ થતો નથી. ૩. મામેરાવિષયક પદો ‘હારમાળા’ વિભાગમાં ક્રમાંક ૨૩થી ૨૮ પર છે. કે. કા. શાસ્ત્રી ક્રમાંક ૧૮થી ૨૯ સુધીનાં પદો વિશે કહે છે કે “એ તદ્દન પાછળનો ઉમેરો છે” (પ્રસ્તા. પૃ. ૧૭), કેમકે (૧) એમાં નરસિંહ પોતાને મોઢે પોતાનાં વખાણ કરે છે અને (૨) ૧૭મા પદનું અનુસંધાન ૩૦મા પદ સાથે છે. ૪. તેમ છતાં ઝૂલણાનાં બે પદો નરસિંહની કૃતિ હોવાનો સંભવ કે. કા. શાસ્ત્રી સ્વીકારે છે. ઝૂલણાનાં આ બે પદોમાંથી એકમાં સમોવણનો પ્રસંગ અને બીજામાં નણંદની દીકરી પહેરામણીમાં રહી ગઈ તે પ્રસંગ વર્ણવાયા છે. ’કાવ્યસંગ્રહ’નાં પદોની ચર્ચા વખતે આપણે એ પદોને ઝાઝાં અધિકૃત ગણ્યાં નથી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૪

‘કવિ પ્રેમાનંદ અને નરસિંહકૃત કુંવરબાઈનું મામેરું’ (હવે પછી ‘મામેરું’ તરીકે ઉલ્લિખિત, સંપા. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ, બીજી આવૃત્તિ, ૧૯૪૩)માં સં. ૧૮૫૪ અને ૧૮૭૩ આસપાસમાં લખાયેલી બે પ્રતોને આધારે નરસિંહ મહેતાકૃત ૭ પદનું ‘મામેરું’ મુદ્રિત કરવામાં આવ્યું છે અને સં. ૧૮૭૩ આસપાસની પ્રતમાં મળતું વધારાનું પદ પાઠાંતરમાં મૂકવામાં આવ્યું છે. કુલ ૮ પદોમાંથી ૨ પદ ‘કાવ્યસંગ્રહ’ સાથે સમાન છે – એક પ્રાર્થનાનું (અહીં ત્રીજું, ‘કાવ્યસંગ્રહ’માં ૨૨મું) અને એક ભગવાન લક્ષ્મીને લઈને આવે છે તે નિરૂપતું (અહીં ચોથું, ‘કાવ્યસંગ્રહ’માં ૪૨મું). પહેલું પદ ‘પંચાંગ’ની ૨૦ પદની વાચનાના સાતમા-આઠમા પદની કેટલીક કડીઓનું બનેલું છે અને ૫દ ૨, ૫, ૬ અને ૭ ‘પંચાંગ’ને ગજેન્દ્ર રવીશંકર પંડ્યા પાસેથી મળેલાં પદો જ છે-થોડા પાઠભેદે. પાઠાં અંતરમાં નોંધાયેલું પદ તદ્દન નવું છે. ‘પંચાંગ’ની પ્રતનો સમય મળેલો નથી, ત્યારે ‘મામેરું’ની પ્રતનો સમય છે. એટલે ‘કાવ્યસંગ્રહ’ ઉપરાંતનાં અહીં છપાયેલાં પદો નરસિંહ પછી ૩૦૦-૩૫૦ પછીની પ્રતમાંથી મળ્યાં છે એમ ગણાય અને એથી એની પ્રાચીનતા તથા પરિણામે એની અધિકૃતતા પણ ઘણી શંકાસ્પદ બની જાય. આંતરિક તપાસ કરતાં દેખાય છે કે આ પદસમૂહને પણ એક સળંગસૂત્ર સુબદ્ધ રચના તરીકે જોવામાં મુશ્કેલી છે. ચોથા પદમાં ભગવાન લક્ષ્મીને લઈને મામેરું કરવા આવતા વર્ણવાય છે, પાંચમા પદમાં સમોવણનો પ્રસંગ આલેખાય છે અને ફરી છઠ્ઠા પદમાં ચોથા પદમાં અનુસંધાનમાં પહેરામણીનો પ્રસંગ ચાલે છે. છઠ્ઠા ૫દમાં કુંવરબાઈ વડસાસુ પાસે આવી ‘મહેણાં દેતાં હતાં, વૈષ્ણવથી લાજતાં, તે લખપતિ તાત મારી આશ પૂરી’ એમ કહે છે તે તથા સાતમા પદમાં ‘શાંત કીધી પેલી ઘરડી ડોશી’ તથા ‘હેમના પહાણિયા મેલિયા છાબમાં’ એવી પંક્તિઓ આવે છે તે વડસાસુના ચરિત્રની પૂર્વભૂમિકાની તથા ‘બે પાણા’ના પૂર્વ નિર્દેશની અપેક્ષા ઊભી કરે છે, પરંતુ ૭ પદના પાઠમાં એવી કોઈ પૂર્વભૂમિકા કે પૂર્વનિર્દેશ નથી, તેથી આ જાતનું નિરૂપણ અધ્ધર લાગે છે. પુત્રીનું નામ ‘કુંવરબાઈ’ ક્યાંય મળતું નથી, માત્ર છેલ્લા પદમાં ‘સુરસેના’ એવો નામોલ્લેખ મળે છે તે આ પદોનો ‘હારમાળા’ સાથેનો સંબંધ કદાચ સૂચવે. નામને બદલે ‘પુત્રી’ શબ્દથી ઉલ્લેખ નરસિંહની રચના હોવાનો તર્ક પણ કરાવે. ૮ પદના પાઠમાં ત્રીજા પદ પછી મળતા વધારાના પદમાં છાબનાં વસ્ત્ર ઊડી ન જાય માટે વેવાણ ‘પરબનફલ’ (પરબતફળ = પાણા?) મૂકવાનું સૂચવે છે એટલે એ રીતે છેલ્લા પદના ‘હેમના પહાણિયા’ના ઉલ્લેખને પૂર્વભૂમિકા સાંપડે છે, પરંતુ આ પદની કચાશ તરત ધ્યાન ખેંચે એવી છે. ‘મહેતાને કહેજો પરબતફલ લઈ, સાહી મૂકો એમ કહેજો તમે’ એ પંક્તિનો અન્વય અસ્પષ્ટ છે અને બીજી કડીમાં વેવાણને સંદર્ભે ‘છાબમાં વસ્ત્ર તાં માશે કેમ?’ એ પંક્તિ આવ્યા પછી ત્રીજી કડીમાં નરસિંહે કરેલા ઈશ્વરસ્મરણના સંદર્ભમાં ‘છાબમાં અતિઘણાં કેમ માશે’ એ પંક્તિનું પુનરાવર્તન બિનજરૂરી ને અસંગત લાગે છે. સાતમા પદની નીચેની કડીમાં પ્રાસનો આયાસ પકડાઈ જાય એવો છેઃ સાસુ નણંદ સહી ભાણેજ ને ફઈ મોસાળામાં સાસરપક્ષ ગોતી; પડ-પિત્રાઈ ભોજાઈ વેવાઈનાં, શોધીશોધી લીધાં વસ્ત્ર ભૂતિ. પદ્યબંધ અને પદાવલિની આવી કચાશો આ પદોમાં અન્યત્ર પણ બતાવી શકાય તેમ છે, જે આ પદોનું કર્તૃત્વ નરસિંહનું હોવાનું માનતાં આપણને અચકાવે. સમગ્રપણે જોતાં ‘મામેરું’ની આ વાચના વિશે આટલું કહી શકાય : ૧. એમાં એક સળંગસૂત્ર કૃતિની છાપ પડતી નથી; છૂટાં પદોના સંકલન જેવું લાગે છે. ૨. પ્રાચીન હસ્તપ્રતને અભાવે એની પ્રાચીનતા શંકાસ્પદ બની જાય છે. ૩. પદ્યબંધ અને પદાવલિની કચાશો પણ નરસિંહના કર્તૃત્વની સંભાવના ઘણી ઓછી કરી નાખે છે. ૪. છતાં પ્રાર્થનાનાં બેએક પદો કદાચ નરસિંહનાં હોવાનું સંભવે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૫

‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’ (હવે પછી ‘આત્મચરિતનાં કાવ્યો’ તરીકે ઉલ્લિખિત, સંપા. કે. કા. શાસ્ત્રી, ૧૯૬૯)માં ‘મામેરું’ની ૨૫ પદોની વાચના આપવામાં આવી છે. આ વાચના આ પૂર્વે પ્રગટ થયેલાં નરસિંહકૃત મામેરાનાં સર્વ પદોની સંકલિત આવૃત્તિ છે. એમાં ‘કાવ્યસંગ્રહ’માંનું હારપ્રસંગના સ્પષ્ટ સંદર્ભવાળું ૧૮મું પદ (‘હાર-સમેનાં પદ’ના હારમાળા વિભાગનું ૨૩મું પદ) છોડી દેવામાં આવ્યું છે અને ૨૧મું પદ પાઠાંતર રૂપે ઉતારવામાં આવ્યું છે; ‘કાવ્યસંગ્રહ’ તેમજ ‘હાર-સમેનાં પદ’નાં બાકીનાં બધાં જ પદને, મગનભાઈ દેસાઈ સંપાદિત ‘મામેરું’ના બન્ને પ્રતના થઈને થતાં આઠેઆઠ પદને અને ‘પંચાંગ’નાં પચીસે પદને સમાવી લેવામાં આવ્યાં છે. ‘પંચાંગ’ના ૨૩મા પદને પાઠાંતરમાં ઉતાર્યું છે, જાણે અહીં સ્વીકૃત વાચનામાં એ સ્વીકારાયું ન હોય! પરંતુ એ અહીં સ્વીકૃત વાચનામાં ૨૪મા પદ તરીકે સમાવાયેલું છે જ. એટલે આ બાબતમાં કંઈક સરતચૂક થયેલી લાગે છે. ‘પંચાંગ’ની અને આ વાચનાનાં પદ ૨૫ છે, પરંતુ ‘પંચાંગ’ની વાચના અહીં સીધેસીધી ઉતારી લેવામાં આવી નથી, એનું ૧૧મું પદ છોડી દઈ માત્ર પાઠાંતરમાં સમાવવામાં આવ્યું છે, ક્યાંક બે પદો એક પદ રૂપે મુકાયાં છે અને અન્યત્ર વધારાનાં મળતાં પદો સમાવી લેવામાં આવ્યાં છે. પદોનો ‘પંચાંગ’નો ક્રમ પણ ક્યાંક ક્યાંક બદલાયો છે. છતાં ‘પંચાંગ’ની વાચના આમાં મુખ્ય આધાર રૂપે છે એમ કહેવામાં બાધ નથી. એક વાતની અહીં ખાસ નોંધ લેવી જોઈએ. અહીં જે પદો કેવળ ‘પંચાંગ’માંથી જ લેવામાં આવ્યાં છે તેના પાઠો ‘પંચાંગ’ સાથે શબ્દશઃ મળતા નથી. જેમકે, પહેલા જ પદમાં ‘તળાજા માંહે’-ને સ્થાને ‘તળાજામાં’, ‘વન માહે’ને સ્થાને ‘વંન માંહે’, ‘વદ્યા વચન’ને સ્થાને ‘વદિયા વચંન’, ‘ઇચ્છા હોય’ને સ્થાને ‘મન હોય’, ‘ભક્તિ જોઈ થયો હું પ્રસન્ન’ને સ્થાને ‘ભક્તિ તવ જોઈ હું થયો પ્રસન્ન’ વગેરે મળે છે. કે. કા. શાસ્ત્રીએ ‘પંચાંગ’માંથી સીધો પાઠ લીધેલો નથી, પરંતુ ‘પંચાંગ’ પરથી ઉતારીને મોકલાવાયેલી નકલનો ઉપયોગ કર્યો છે. પણ ઉપર્યુક્ત ફેરફારો નકલ કરનારને હાથે થયા હોય એવા જણાતા નથી; કે. કા. શાસ્ત્રીએ પદબંધ, પ્રાસ, ભાષાની મધ્યકાલીનતા વગેરેને અનુલક્ષીને કરેલા જણાય છે. આ સંપાદનપદ્ધતિ જોખમી ગણાય, કેમકે એથી મૂળ પાઠને આધારે લેવાના થતા નિર્ણયોમાં અવરોધ ઊભો થાય છે. ઓછામાં ઓછું, પાઠ સુધારનારે મૂળ પાઠ પાઠાંતર તરીકે તો નોંધવા જ જોઈએ. ૨૫ પદોની આ વાચનાની સંકલનાની દૃષ્ટિએ પણ મુશ્કેલીઓ છે. સાતમા પદમાં તાળ વાવા વિશે કુંવરબાઈ નરસિંહને ફરિયાદ કરે છે તે ફરી પાછી આઠમા પદમાં આવે છે અને સાતમા પદમાં મંડપમાં ઠાલી છાબ ધરવાનું નરસિંહે કુંવરબાઈને કહ્યા પછી નવમા પદમાં વેવાઈ તરફથી પહેરામણીની નાનકડી ટીપ રજૂ થાય છે ને ૧૧થી ૧૩મા પદમાં કુંવરબાઈને વડસાસુ પહેરામણીની યાદી કરાવે છે એ પ્રસંગ વીગતે આલેખાય છે. આઠમા પદમાં સમણનો પ્રસંગ સંક્ષેપમાં નિર્દેશાઈ ગયા પછી ફરી પાછો ૧૦મા પદમાં થોડાક વિસ્તારથી વર્ણવાય છે. ૨૩મા પદમાં પહેરામણી વહેંચાઈ ગઈ અને હરિ અંતર્ધાન થઈ ગયાનું કહેવાયા પછી ૨૪મા પદમાં લક્ષ્મીજી કુંવરબાઈ તથા વેવાણ સાથે વાત કરે છે એવું વર્ણવાય છે. આ બધી હકીકતો એમ બતાવે છે કે નરસિંહને નામે પ્રચલિત થયેલાં મામેરાનાં પદોની એકથી વધુ પરંપરા છે. ‘આત્મચરિતનાં કાવ્યો’ની વાચનામાં એ પરંપરાઓની ભેળસેળ થયેલી છે. જોકે આ રીતે ભેળસેળ થયેલી પરંપરાઓમાંથી એકેયમાં નરસિંહનું કર્તૃત્વ આરોપી શકાય એવું ઘણું ઓછું જણાય છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૬

‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ’ (હવે પછી ‘કાવ્યકૃતિઓ’ તરીકે ઉલ્લિખિત, સંપા. ડૉ. શિવલાલ જેસલપુરા, ૧૯૮૧)માં નરસિંહના મામેરાનાં પદની વાચના આપવામાં આવી છે. આ વાચનામાં એક પણ પદ નવું નથી. ડૉ. જેસલપુરાએ “ગુજરાત વિદ્યાસભા, અમદાવાદની હસ્તપ્રત ક્રમાંક ૪૨૨ (લે.સં. ૧૭૯૯)માં પણ થોડાં પદ આવેલાં છે” અને “આ મુદ્રિત-અમુદ્રિત પદોને આધારે વાચના તૈયાર કરી છે” એમ કહ્યું છે, પરંતુ ઉક્ત હસ્તપ્રતમાંથી માત્ર બે જ પદ (અહીંના ક્રમાંક ૧૧ અને ૧૩) મળેલાં જણાય છે અને એ બન્ને પદ ‘કાવ્યસંગ્રહ’ના સૌથી પહેલા મુદ્રિત પાઠમાં પણ છે! આ વાચનામાં નવી સામગ્રી ન હોવાથી એની અધિકૃતતાની ચર્ચા આપણે કરવાની રહેતી નથી. ડૉ. જેસલપુરાએ ‘કાવ્યસંગ્રહ’ ‘આત્મચરિતનાં કાવ્યો’, મગનભાઈ દેસાઈ સંપાદિત ‘કુંવરબાઈનું મામેરું’ અને ક્રમાંક ૪૨૨ની ગુજરાત વિદ્યાસભાની પ્રતનો ઉપયોગ કરી પોતાની વાચના તૈયાર કરી છે. પણ સ્વાભાવિક રીતે જ એમનો મુખ્ય આધાર ‘આત્મચરિતનાં કાવ્યો’ની વાચના જ બની રહી છે. ‘આત્મચરિતનાં કાવ્યો’એ છોડી દીધેલ પદને એમણે મુખ્ય વાચનામાં કે પાઠાંતરમાં ૫ણ સમાવેલ નથી. ડૉ. જેસલપુરાએ એક સંગત વાચના ઊભી કરવાનું તાક્યું છે તેથી એમણે ૧૬ પદ તારવી લીધાં છે અને બાકીનાં પદને પાઠાંતરમાં ઉતાર્યાં છે. આમ છતાં અહીં સંકલનાદોષ સાવ નિવારી શકાયેલ નથી. પાંચમા પદમાં ઠાલી છાબ ધરવાની વાત આવ્યા પછી પદ ૭થી પહેરામણીની યાદીનો પ્રસંગ અહીં પણ આલેખાય છે! ૧૬મા પદમાં ‘હેમના પહાણિયા મેલિયા છાબમાં’ એવી પંક્તિ આવે છે, પણ આનું પુરઃસંધાન અહીં મળતું નથી. પદોની અંતર્ગત અસંગતિ હોય તે તો એમ ને એમ જ રહી છે, કેમકે પદની આંતરિક સંકલનાને સુધારવાનો, સ્વાભાવિક રીતે જ, પ્રયાસ થયો નથી. ડૉ. જેસલપુરાના આ પ્રયાસમાં વ્યવહારુ તાર્કિકતા છે એમ કહેવાય, પરંતુ એમાં શાસ્ત્રીયતા છે એમ ભાગ્યે જ કહેવાય. એમણે પદોની પસંદગી નરસિંહના કતૃત્વની અધિકૃતતાને ધોરણે કરી નથી અને આ તારવેલી વાચનામાં પણ એકથી વધુ પરંપરાનું મિશ્રણ નજરે પડે જ છે. એટલે નરસિંહનું કર્તૃત્વ પ્રમાણિત કરવા માટે ડૉ. જેસલપુરા પાસેથી કશી મદદ મળતી નથી. ડૉ. જેસલપુરાએ ‘પંચાંગ’ જોયું જણાતું નથી, કેમકે એમણે પાઠાંતરમાં એનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી, ‘આત્મચરિતનાં કાવ્યો’નો જ ઉલ્લેખ કર્યો છે, તેમ છતાં માત્ર ‘પંચાંગ’માં મળતાં પદોના એમના પાઠ ‘આત્મચરિતનાં કાવ્યો’થી કેટલેક ઠેકાણે જુદા પડે છે. જેમકે, પહેલા જ પદમાં એમણે ‘માગની’નું ‘માગને’, ‘દીજિયે મુને તે’નું ‘મૂંહને દીજિયે’ તથા ‘અદબદ’નું ‘અદ્‌ભુત’ કર્યું છે. એમણે કે. કા. શાસ્ત્રીને મળેલી ‘પંચાંગ’માંથી ઉતારેલી મૂળ નકલ મેળવી હોય એવો વહેમ જાય, કેમકે એમાં ‘અદ્‌ભુત’ પાઠ મળે છે! પણ ‘માગને’ અને ‘મૂંહને દીજિયે’ એમાં પણ મળતા નથી. એટલે ડૉ. જેસલપુરાએ પણ પોતાને મળેલા પાઠમાં ફેરફાર કર્યા હોય એવું સમજાય છે. આ પદ્ધતિનો બચાવ ભાગ્યે જ થઈ શકે. આ રીતે, ડૉ. જેસલપુરાની વાચનામાં કોઈ નવી સામગ્રી નથી, તેમજ એ શાસ્ત્રીય વાચના પણ નથી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૭

નરસિંહને નામે મળતાં મામેરાનાં ઘણાંખરાં પદો પરત્વે નરસિંહનું કર્તૃત્વ આપણને શંકાસ્પદ લાગ્યું છે. એનાં મુખ્યત્વે બે કારણ આપણે જોયાં છે : (૧) ઘણા મોડા સમયની હસ્તપ્રતમાં એ પદો પ્રાપ્ત થાય છે અને (૨) એ પદોની પદાવલિ કચાશભરી અને અર્વાચીનતાની અસરવાળી જણાય છે. પણ આ સ્થિતિ તો નરસિંહને નામે મળતાં બીજાં અનેક પદોની હોવાની. મામેરાનાં પદોને નરસિંહકૃત ન માનવા માટે બીજી કોઈ વધારે મજબૂત કસોટીઓ છે ખરી? એક કસોટી નરસિંહની પોતાની કાવ્યશૈલીની આપણે લાગુ પાડી શકીએ. ‘સુદામાજીના કેદારા’ એ નરસિંહની માની શકાય એવી કૃતિ છે. એ માત્ર ૮ પદની રચના છે અને કથનવર્ણનને બદલે ભાવવિચારપ્રધાન છે. મોટે ભાગે એમાં પાત્રોની ઉક્તિઓથી કામ લેવામાં આવ્યું છે – આખાં ને આખાં પદ પાત્રોની ઉક્તિ રૂપે છે. કેટલુંક સંવાદ રૂપે છે; કેટલુંક સંબોધન રૂપે છે. આ સંદર્ભમાં વિચારીએ તો ‘મામેરું’ની પદબહુલતા અને એનું કથનવર્ણનાત્મક સ્વરૂપ અ-નારસિંહી જણાય. થોડાંક પદો કદાચ નરસિંહનાં હોય પણ એ તારવવાં કઠિન બને. એક બીજી કસોટી પણ લાગુ પાડી શકાય. નરસિંહ પછી ઘણા ગુજરાતી કવિઓએ મામેરાવિષયક કાવ્યોની રચના કરી છે. નરસિંહની રચનાને એમની રચનાઓ સાથે સરખાવી શકાય અને નરસિંહને નામે મળતાં પદોમાં એ પાછળની રચનાઓમાંથી કંઈ આવ્યું છે કે કેમ તે તપાસી શકાય. અલબત્ત, નરસિંહની રચનામાંથી પાછળની રચનાઓમાં કંઈ ઊતર્યું છે કે પાછળની રચનામાંથી નરસિંહની રચનામાં પ્રવેશ્યું છે એનો નિર્ણય કરવો બધે સ્થાને બહુ સરળ નહીં હોવાનો. છતાં કથાપ્રસંગ કે અભિવ્યક્તિના પ્રાથમિક ને વિકસિત કે સંમાર્જિત રૂપોનો વિવેક કેટલેક ઠેકાણે શક્ય હોવાનો, અને પરંપરામાં બહુ મોડેથી પ્રવેશેલાં તત્ત્વો નરસિંહની રચનામાં દેખા દે તો એ નિશ્ચિતપણે રચનાની પ્રાચીનતા સામેનું પ્રમાણ બનવાનું. એટલે નરસિંહના મામેરાની એ પ્રસંગવિષયક અન્ય રચનાઓ સાથેની તુલના ફલપ્રદ અવશ્ય બની શકે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૮

નરસિંહ પછી પ્રેમાનંદ સુધીમાં મામેરાવિષયક પાંચ કવિઓની કૃતિઓ પ્રકાશિત થયેલી છે. એ કૃતિઓની સાથે નરસિંહને નામે મળતાં પદોની તુલના આપણે કરીશું. આ કૃતિઓ, જે સમયક્રમમાં એને મૂકવામાં આવી છે તે મુજબ, નીચે પ્રમાણે છેઃ ૧. વિષ્ણુદાસકૃત ‘કુંવરબાઈનું મોસાળું’ઃ પ્રકાશિત – ‘સભાપર્વ, નળાખ્યાન, કુંવરબાઈનું મોસાળું, હૂંડી’, સંપા. ભાનસુખરામ નિ. મહેતા, ૧૯૨૧. કૃતિને રચનાસંવત નથી અને સં. ૧૭૫૦ની પ્રત મળી છે. ૧૪૩ પંક્તિની આ કૃતિ ખંભાતના વિષ્ણુદાસની ગણવામાં આવી છે. વિષ્ણુદાસની અન્ય કૃતિઓ સં. ૧૬૨૪થી સં. ૧૬૬૮ના ગાળાની મળી છે, અને આ કૃતિનો પણ સં. ૧૬૨૪થી ૧૬૬૮ના ગાળાની માનવામાં આવી છે. (કવિચરિત, કે. કા. શાસ્ત્રી, પૃ. ૩૪૭-૪૮.) ૨. કૃષ્ણદાસકૃત ‘મામેરું’ : પ્રકાશિત – બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી ૧૯૨૨. ૨૧૪ પંક્તિની આ કૃતિનો રચનાસંવત મળતો નથી પરંતુ એની સં. ૧૭૩૮ આસપાસની પ્રત મળી છે. ૩. ગોવિંદકૃત ‘મામેરું’ : પ્રકાશિત – ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’, સંપા. ભોગીલાલ સાંડેસરા, ૧૯૪૮, ૨૬૯ પંક્તિની આ કૃતિનો રચનાસંવત મળતો નથી, પરંતુ એની સં. ૧૭૨૮ આસપાસની હસ્તપ્રત મળે છે. ૪. વિશ્વનાથ જાનીકૃત ‘મોસાળાચરિત્ર’ : પ્રકાશિત – ‘નરસૈં મહેતાનું આખ્યાન’, સંપા. હીરાલાલ ત્રિ. પારેખ, ૧૯૨૩, ૭૦૮ પંક્તિની આ કૃતિનો રચનાસંવત ૧૭૦૮ મળે છે. ૧. પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું’ : ૬૩૨ પંક્તિની આ કૃતિનો રચનાસંવત ૧૭૩૯ મળે છે. આ રચનાઓનો જે સમયક્રમ ધારવામાં આવ્યો છે તેના કેટલાક પ્રશ્નો છે. જેમકે, ૧. ‘કુંવરબાઈનું મોસાળું’ને ખંભાતના વિષ્ણુદાસની જ રચના માનવી કે કેમ? ૨. કૃષ્ણદાસની કૃતિમાં ‘ખોખલો’ એવો નામનિર્દેશ નથી તેમજ મા વિનાની પુત્રીની દીન દશા વર્ણવતી પંક્તિઓ નથી તેથી એને ક્રમમાં આગળ મૂકવી કે કેમ? ૩. કૃષ્ણદાસ અને ગોવિંદમાં સમોવણની ઘટના ભૂતકાળની ઘટના તરીકે માત્ર સ્મરણ રૂપે નિર્દેશાય ને વિષ્ણુદાસમાં એને આ પ્રસંગે પ્રત્યક્ષ બનતી વર્ણવાય તેમજ વિષ્ણુદાસમાં કેટલાંક એવાં નિરૂપણો મળે જે કૃષ્ણદાસ કે ગોવિંદને બદલે સીધા વિશ્વનાથ-પ્રેમાનંદ સાથેનું અનુસંધાન પ્રગટ કરે, તો તેથી વિષ્ણુદાસની કૃતિને પાછળ મૂકવી કે કેમ? પરંતુ આ બધા પ્રશ્નોને આપણા અત્યારના અભ્યાસવિષયની બહારના ગણી, સ્થૂળ રીતે કૃતિઓનો ઉપરનો સમયક્રમ સ્વીકારી આપણે આગળ ચાલીશું. નરસિંહને નામે મળતાં લગભગ બધાં પદો ‘આત્મચરિતનાં કાવ્યો’માં સંકલિત થયેલાં છે, એટલે તુલના માટે આપણે એ વાચનાનો જ આધાર લઈશું અને પદક્રમાંક પણ એનો વાપરીશું. સાથેસાથે એ પદ કઈકઈ વાચનાઓમાં મળે છે તેનો નીચેના સંકેતાક્ષરોથી નિર્દેશ કરીશું, જેથી જે તે વાચના વિશે અભિપ્રાય બાંધવામાં પણ મદદ મળશે : નકાસં : ઇચ્છારામ દેસાઈ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં હારમાળાના પરિશિષ્ટનાં પદોની વાચના. પં : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસના સં. ૧૯૮૬ના કાર્તિકી પંચાંગમાં છપાયેલા પાઠની મૂળ હસ્તપ્રતમાં મળતી ૨૦ પદની વાચના. અ : મગનભાઈ દેસાઈ સંપાદિત ‘કુંવરબાઈનું મામેરું’માંની સં. ૧૮૫૪ની પ્રતની વાચના. બ : ઉપર્યુક્ત સંપાદનમાંની ૧૮૭૩ની પ્રતની વાચના. હા : કે. કા. શાસ્ત્રી સંપાદિત ‘હારસમેનાં પદ અને હારમાળા’ના હારમાળા-વિભાગની વાચના. ડૉ. શિવલાલ જેસલપુરા સંપાદિત ‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ’માંની વાચના ‘આત્મચરિતનાં કાવ્યો’ પર જ આધારિત હોઈ એનો આપણે અલગ નિર્દેશ કરવાની જરૂર રહેતી નથી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૯

નરસિંહને નામે મળતી મામેરાવિષયક રચનાને પછીની પરંપરા સાથે સરખાવતાં સૌથી પહેલી વસ્તુ એ ધ્યાનમાં આવે છે કે છેક વિશ્વનાથ અને પ્રેમાનંદ પાસેથી આ૫ણને અનુક્રમે ૧૭ અને ૧૬ કડવાંની વિસ્તૃત, કથાવસ્તુની પૂરી ખિલવણીવાળી રચના મળે છે. તે પહેલાંની કૃતિઓ કડવાબંધમાં પણ નથી. નરસિંહની ૨૫ જેટલાં પદોની લાંબી અને કથાવસ્તુની પૂરી ખિલવણીવાળી રચના હોય તો વિશ્વનાથ-પ્રેમાનંદ પહેલાં એનો પ્રભાવ જોવા ન મળે એ બની શકે નહીં. તેથી નરસિંહના નામે મળતી આ લાંબી રચના વિશ્વનાથ-પ્રેમાનંદના પ્રભાવ નીચે સંકલિત થઈ હોય અને એમાંના ઘણા અંશો પાછળની પરંપરામાંથી જ લીધેલા હોય એવા તર્કને પૂરો અવકાશ રહે છે. આ તર્કને કાવ્યોની પ્રત્યક્ષ તુલનાથી સમર્થન મળી રહે છે કે કેમ તે આપણે જોવાનું છે. નરસિંહનાં પદ ૧(પં) અને ર(પં)માં એને મહાદેવ પ્રસન્ન થયા એ એના જીવનનો પૂર્વપ્રસંગ આલેખાયેલો છે. ગોવિંદ અને પ્રેમાનંદ સિવાય આ પ્રસંગ મામેરા સાથે જોડાયેલો જોવા મળતો નથી. એમાંયે ગોવિંદમાં તો કાવ્યને અંતે નરસિંહ કુંવરબાઈને આ પ્રસંગ કહે છે એ રીતે આલેખાયો છે. નરસિંહની કેટલીક પંક્તિઓનું ગોવિંદ અને પ્રેમાનંદની પંક્તિઓ સાથેનું સામ્ય ધ્યાન ખેંચે એવું છે[2] : ૧. નરસિંહ : ‘માગું શું નવલ હું? તમને વલ્લભ જે, મુજને દીજીએ દાસ જાણી.’ ગોવિંદ : મેં માગ્યું ‘સ્વામી આપો એહ, તમ જાણતાં વલ્લભ જેહ.’ ૨. નરસિંહ : ‘શ્રી હરિહર હુંને મળ્યા, સાંભળો : માત માહરી તે, તારી કૃપાય.’ પ્રેમાનંદ : ‘હરિહર બન્ને મુજને મળ્યા તે, ભાભી, તારું પુણ્ય.’ આ ઉપરાંત, નરસિંહમાં સાત ઉપવાસનો ઉલ્લેખ મળે છે તે પ્રેમાનંદમાં પણ છે. દેશમાં નરસિંહની ‘વાત વાગે’, એનું દર્શન કરવા ગામેગામથી હરિજન આવે અને ‘લાર લાગે’, ભાઈભોજાઈ અકળાઈને જુદા રહેવાનું સૂચવે અને નરસિંહ મહેતા જૂનાગઢ જાય – આ બધી હકીકતો માત્ર નરસિંહના પદમાં છે, આખી પરંપરામાં અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. પદ ૩(પં)માં પુત્રને વડનગરમાં પરણાવ્યાની હકીકત મળે છે તે પણ અહીં જ મળે છે. પુત્રીનું સાસરું ઉના બતાવાયું છે, જ્યારે વિષ્ણુદાસ વિજયનગર અને વિશ્વનાથ જાની માંગરોળ જણાવે છે; અન્ય કવિઓ ગામનામ આપતા જ નથી. પદ ૩ અને ૪ (પં)માં વચ્ચેની પરંપરામાં દેખા ન દેતાં અને છેક પ્રેમાનંદ સાથે અનુસંધાન દર્શાવતાં વિચાર-વર્તનો ને વાણીપ્રયોગો નજરે પડે છે. જેમકે, ૧. નરસિંહ : પત્નિ ને પુત્ર તે, બે મરણ પામિયાં, નગરના લોક તે કરે રુદન. અવધ જેહની થઇ, તેહ જાય સહી, લેશ નહિ શોક કરતું રે મન. પ્રેમાનંદ : સ્ત્રીસુત મરતે રોયાં લોક, મહેતાને મનમાં નહિ શોક. ૨. નરસિંહ : સાસરીઆ અભિમાન રાખે. પ્રેમાનંદ : છે સાસરિયાંને ધનઅભિમાન. ૩. નરસિંહ : ‘હરખ વહુવર તણો ક્યમ કરી પોંહચશે, નરસૈંયો નિર્ધન એનો તાત. આપણા ઘર થકી સરવ વિધિ કરો.’ પ્રેમાનંદ : ‘વહુને ઓરિયો વીતે ખરો, કાંઈક મોસાળું ઘેરથી કરો.’ ૪. નરસિંહ : ‘આવીઓ અવસર નહીં સાચવો તાત...’ પ્રેમાનંદ : ‘જો આ અવસર સૂનો જશે...’ કંકોત્રી લઈ જનાર બ્રાહ્મણનું નામ ખોખલો પંડ્યો, આગળ કહ્યું તેમ, કૃષ્ણદાસ સિવાય બધે મળે છે; કૃષ્ણદાસ માત્ર ‘દુર્બળ બ્રાહ્મણ’ કહે છે. પણ કુંવરબાઈ એને એકાંતે બેસાડીને વાત કરે છે એવું નિરૂપણ માત્ર નરસિંહ અને પ્રેમાનંદમાં છે. વિષ્ણુદાસ કૃષ્ણદાસ અને ગોવિંદ દ્વારે કે ઝાંપે ઊભા રહીને વાત કર્યાંનું વર્ણવે છે. પદ ૭(પં, અ, બ)માં પણ પ્રેમાનંદ સાથે અનુસંધાન ધરાવતી પંક્તિ ફરી વાર જડે છે : નરસિંહ : ‘આવીઓ અવસર જો નહિ સાચવો, તો સાસરિયામાં થાશે મહેણું.’ પ્રેમાનંદ : ‘જો આ અવસર સૂનો જશે, તો ભવનું મહેણું મુજને થશે.’ ખોખલો પંડ્યો નરસિંહ પાસે આવે છે અને મહેતાજી મામેરું કરવા નીકળે છે તે વખતના નિરૂપણમાં પણ પ્રેમાનંદ સાથે વિચાર કે અભિવ્યક્તિનું સામ્ય દર્શાવતી પંક્તિઓ જોવા મળે છેઃ ૧. નરસિંહ : ‘કો કોને ભજે થાય ધરણીધરા, મારે નવનિધ એક તું જ, રાજ.’ પ્રેમાનંદ : ‘ત્રિકમજી, ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી.’ ૨. નરસિંહ : ‘આવીઉં સીમંત, જાવું છે જદુપતિ...’ પ્રેમાનંદ : ‘મોસાળું લઈ આપણે જાવું, બાઈનું છે સીમંતજી.’ ૩. નરસિંહ : મામેરૂં કરવાને મેહેતાજી ચાલીઆ.... પ્રેમાનંદ : મહેતાજી મામેરે ચાલ્યા... નરસિંહની નીચેની પંક્તિઓનો ભાવ કૃષ્ણદાસ અને ગોવિંદમાં પણ મળે છે, પરંતુ અભિવ્યક્તિનું સામ્ય એનું પ્રેમાનંદ સાથે છે એ જોઈ શકાશેઃ નરસિંહ : આવી ઊભી રહી : ‘તાત, ત્રેવડ નહિ, શીદ આવીઆ ઉપહાસ થાવા, લોક નિંદા કરે, સર્વે જોવા ફરે, તાળ વાઇ વળી ગીત ગાવા.’ કૃષ્ણદાસ : ‘ઠાલામાલા આવ્યા શીદ, જણતાં ટૂંપો શેં નવ દીધ, ઠગવિદ્યા કરશે સારું ગામ, નાવ્યા હોત તો એક જ નામ.’ ગોવિંદ : ‘જો નોહોતી મામેરાની પેર્ય, તો શીદ આવ્યા મારે ઘેર્ય? આગે સહુકો મુહુને મિહિણાં દે, દાઢી ઊઠી તાલકુટિયાની કહે. નાગર ઠગવિદ્યા કરે...’ પ્રેમાનંદ : ‘નાગરી નાતે રહેશે કેમ લાજ, ધન વિના આવ્યા શેં કાજ?’ ‘શું કરવા આવ્યા ઉપહાસ? સાથે વેરાગી લાવ્યા પંચાસ; શંખ તાળ ને માળા ચંગ, એ મોસાળું કરવાના ઢંગ?’ નરસિંહના પદમાં આ પ્રસંગે નરસિંહ કુંવરબાઈને ‘છાબ ઠાલી ધરો મંડપ માંહે’ એમ કહે છે; પ્રેમાનંદમાં બીજે દિવસે મોસાળાની તૈયારી થાય છે એ વખતે નરસિંહ કુંવરબાઈને ‘વિશ્વાસ આણી હૃદે માંહે એક છાબ ઠાલી જઈ ધરો’ એમ કહે છે. મામેરાવિષયક કાવ્યોની સમગ્ર પરંપરામાં આ સિવાય ક્યાંય આ પ્રકારની ઉક્તિ મળતી નથી; ઠાલી છાબ મુકાયાની હકીકત, અલબત્ત, આવે છે. નરસિંહના પદ ૮ (નકાસં, પં, હા), ૯ (નકાસં, હા) અને ૧૦(અ, બ)માં સમણનો પ્રસંગ આલેખાયેલો છે – અલબત્ત, પુનરાવર્તનથી. એ નોંધપાત્ર છે કે કૃષ્ણદાસ અને ગોવિંદમાં કુંવરબાઈ એની નણંદ પાસે ભૂતકાળના બનાવ તરીકે આનો ઉલ્લેખ કરે છે એટલું જ આવે છે : કૃષ્ણદાસ : ‘બાઈ મામેરું કશે નવ કરે, હૂંડી જે પાછી નવ ફરે; અવસર વિણ આણ્યો’તો મેહ, હજી મનમાં રાખો સંદેહ.’ ગોવિંદ : ‘કહિ પુત્રી, ‘બાઈ, જાણે શંન, ઊષ્ણ જલ મેહેલ્યૂ જિણે દિન, માગ્યૂ સમવણ, નાપે કોય, સાર કીવી સામલિયે સોય,’ વિષ્ણુદાસમાં આ પ્રસંગ સાવ અછડતી રીતે આમ જ આલેખાયેલો મળે છે[3] : વેવાણે વેવાઈને કુડ જ કર્યું, નાવા પાણી ખળખળતું ધર્યું, એમાં સમોવણ જોઈએ અપાર, પુત્રીની નણદી બોલી તેણી વાર. તમો કહેવાઓ રાએ હરી. એટલે આ પ્રસંગના વિસ્તૃત નિરૂપણ માટે આપણે છેક વિશ્વનાથ અને પ્રેમાનંદ સુધી નજર દોડાવવી પડે છે. એમાં પણ આઠમું પદ તો આખું ને આખું વિશ્વનાથના ‘મોસાળાચરિત્ર’માં છપાયેલું મળે છે! ઉપરાંત, નવમા પદમાંનો એક વિચાર પણ વિશ્વનાથમાં મળે છે : નરસિંહ : ‘કામણ મોહણ છે કાંઈ એ કને, મંત્રને બળે અણાવ્યું રે પાણી.’ વિશ્વનાથ : ‘યંત્ર મંત્ર કામણ એ જાણે, વરસાવ્યો વરસાદ.’ આ પદમાં વેવાઈ પહેરામણીની ટીપ આપે છે એ આખી પરંપરામાં જોવા ન મળતી વાત છે. અહીં જમાઈ એક સૂચન કરે છે તે વિષ્ણુદાસમાં દિયરને નામે નોંધાયેલું છે : નરસિંહ : તેણે સમે જમાઈએ વાત એવી કહી : ‘તારી દીકરીની સૌએ ઢીગ માંડી. સહસ બે સહસ આપું અછીના તુંને; રાત માહે પરો જા-નાં છાંડી.’ વિષ્ણુદાસ : મોટા દિએરનું નારણદાસ નામ, ઠગવિદ્યાને કર્યો પ્રણામ, ‘જે જોઈએ તે મેતા તમે અહીંથી લો, આજની શોભા અમને દો.” નરસિંહનાં પદ ૧૧ (પં), ૧૨ (પં) અને ૧૩(પં)માં પહેરામણીની યાદીનો પ્રસંગ આલેખાયો છે. વિષ્ણુદાસમાં નરસિંહ ઘરડાં બાઈજીને પૂછીને કાગળમાં પહેરામણીની યાદી લખી લાવવાનું કહે છે. પરંતુ કુંવરબાઈ છણકો કરીને ‘લાવનારા હતા તો ઠાલા શું આવીઆ, દાદાજી લખો રે માંહે બે પાણીઆ’ એમ કહે છે. એટલું જ છે; પછી યાદીનો કોઈ પ્રસંગ વર્ણવાતો નથી. કૃષ્ણદાસમાં કુંવરબાઈ પિતાના કહેવાથી પહેરામણીની યાદી કરે છે ને સાસુનણંદને પૂછવા જતાં એ ‘લખો વળી બે મોટા પહાણ’ એમ કહે છે એટલી વાત છે; પહેરામણીની વસ્તુઓની વીગતવાર સૂચિ નથી કે વડસાસુ પણ નથી. ગોવિંદમાં પણ સાસુ, નણંદ, જેઠાણી વગેરે મળી યાદી કરે છે અને ‘ઘરડાં બાઈજી’ને પૂછતાં તે બે પાણા લખાવે છે એવું નિરૂપણ છે; પહેરામણીની વસ્તુઓની યાદી નથી. પહેરામણીની વસ્તુઓની વીગતે યાદી વડસાસુ કરાવે અને નણંદ છણકો કરીને બે પાણ લખાવે, એવું આલેખન વિશ્વનાથ અને પ્રેમાનંદમાં મળે છે અને પહેરામણીની યાદીથી કુંવરબાઈને ધ્રાસકો પડે એવું ચિત્રણ તો પ્રેમાનંદમાં જ મળે છે. નરસિંહમાં વડસાસુ છે, એની ખંધાઈ છે, પહેરામણીની વસ્તુઓની સૂચિ છે અને એ જોઈને કુંવરબાઈને થતો સંતાપ પણ છે. અલબત્ત, નણંદનો છણકો અને બે પાણાની વાત નથી. બીજી પંક્તિઓ જવા દઈએ તોપણ નરસિંહમાં મળતી કેટલીક માર્મિક પંક્તિઓનું પ્રેમાનંદ સાથેનું સામ્ય ઉઘાડું છે : ૧. નરસિંહ : વદનહસાળી વડસાસુજી બોલીઆ, ‘એહ વાત માંહે સંદેહ શો છે? વૈષ્ણવ લેઈ વેહવાઈ ઘર આવીઆ, કોડ અમારા ક્યમ ન પોંહચે?’ પ્રેમાનંદ : વડસાસુ ઘણું ભારે માણસ, બોલ્યાં મર્મવચન, વહુજી. ‘વડી વહુઅર, તમે કાંઈ ન જાણો, મહેતો વૈષ્ણવજન વહુજી. * ‘રૂડો વેવાઈ આંગણે આવ્યો, કોડ ન પહોંચે કેમ, વહુજી.’ ૨. નરસિંહ : ‘અમો ઘરડા થઈ ધરમ લખાવીશું...’ પ્રેમાનંદ : ‘અમે ઘરડાં માટે ધર્મે લખાવ્યું...’ ૩. નરસિંહ : ‘તે થકી અધિક કરે તમ તાત તો પ્રાણી સકલ વદે ધન્ય વાણી.’ પ્રેમાનંદ : ‘એ લખ્યાથી અધિકું કરશો તો, તમારા ઘરની લાજ, વહુજી.’ ૪. નરસિંહ : ‘ડોસીએ પત્ર માંહે જે લખાવીઉં, આપી કોણ શકે તે પ્રભુ પાખી?’ પ્રેમાનંદ : ‘લખેશરીથી ન પડે પૂરું, એવું એણે લખાવ્યું રે.’ ૫. નરસિંહ : ‘સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું, સીમંત મારે શીદ આવીઉં?’ પ્રેમાનંદ : ‘સાધુપિતાને દુઃખ દેવાને મારું સીમંત શાને આવ્યું રે?’ ૬. નરસિંહ : મહેતોજી ઓચર્યા, ‘દીકરી માહરી, શ્રીહરિનો વિશ્વાસ રાખો.’ પ્રેમાનંદ : મહેતોજી કહે, ‘પુત્રી મારી, રહેજો તમે વિશ્વાસે રે.’ નરસિંહનું પદ ૧૪ (પં) આખું વિશ્વનાથના ‘મોસાળાચરિત્ર’ના ‘બૃહત્‌ કાવ્યદોહન’ ભા. ૮માં મુદ્રિત પાઠમાં મળે છે, જોકે ‘નરસૈં મહેતાનું આખ્યાન’ના પાઠમાં એનો સમાવેશ નથી. પણ એમાંનો એક વિચાર જરા જુદા સંદર્ભમાં પ્રેમાનંદમાં મળે છે એ હકીકત નોંધપાત્ર છે. નરસિંહ : ‘મારે કાજે રખે જાતો કહી માગવા, કષ્ટે મ લાવીશ કરજ કાઢી.’ પ્રેમાનંદ : ‘દામોદરને નથી કાંઈ દોહ્યલું, નહિ જ કરજ કોનું કાઢે.’ નરસિંહના પદ ૧૬(બ)માં છાબમાં પરવતફળ (પાણા) મૂકવાની વાત જરા ક્લિષ્ટ રીતે આવે છે તે પણ પ્રેમાનંદમાં જ સુંદર રીતે મુકાયેલી મળે છે : ‘મૂકો છાબ માંહે બે પહાણ, વાયે ઊડી જાશે.’ નરસિંહનાં પદ ૧૯ (નકાસં, પં, અ, બ), ૨૦ (પં), ૨૧ (નકાસં, પં, હા), ૨૨ (અ, બ), ૨૩ (અ, બ), ૨૪ (પં) અને ૨૫(નકાસં, હા)માં ભગવાન લક્ષ્મીજીની સાથે દામોદર દોશીને રૂપે આવે છે અને મોસાળું કરી જાય છે એ પ્રસંગ આલેખાયો છે. ભગવાન પ્રત્યક્ષ રૂપે આવે એ કલ્પના પરંપરામાં મોડેથી પ્રવેશેલી જણાય છે. વિષ્ણુદાસમાં આ પ્રસંગનાં પરસ્પર વિરોધાભાસી નિરૂપણો પ્રાપ્ત થાય છે?

છલક છાબ સોનૈયે ભરી, અંત્રીખથી ઓચિંતી પડી,
લખમી ત્રુઠ્યાં કરુણા કરી, લેઈ વસ્ત્ર ઉપર પરવરી.
*
નીલાપીળા સાળુની જોડ, દોશી થઈ બેઠા રણછોડ.
*
નણદી અચકામચકા કરે, કુંવરબાઈ છાબ લઈ આગળ ધરે.
‘જે જોઈએ તે નણદી તમો આમાંથી લો.’
‘ભાભી તમારે બાપે શું કર્યું, મોસાળું તો શ્રીકૃષ્ણે કર્યું.
દ્વારકાથી કૃષ્ણદેવ આવિયા, મોસાળું તો તે લાવિયા.’
*
નણંદની નાનકી નાનબાઈ નામ,
તેને એક કાપડું આલવાનો ઠામ;
પૂરનારો તાં પૂરી ગયો, નરસૈં મહેતો બેસિયો.

દેખીતી રીતે જ, આમાં કંઈક ભેળસેળ થઈ ગયેલી જણાય છે અને તેને લીધે ભગવાન પ્રત્યક્ષ આવેલા કે કેમ તે વિશેનો કવિને અભિપ્રાય અસ્પષ્ટ રહે છે. કૃષ્ણદાસ પણ એક બાજુથી ગરુડાસને બેસીને મામેરું લઈને આવતા ભગવાનને વર્ણવે છે ને ‘દોશી થઈ બેઠા ભગવાન’ એમ કહે છે, તો બીજી બાજુથી વડસાસુને લૂગડાં વહેંચતી અને ‘કોણ કનેથી વહોર્યા એહ’ એવો સંદેહ વ્યક્ત કરતી બતાવે છે, પરંતુ ‘સામળ દોસી છાનો વસે’ એવી પંક્તિથી એ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ આપે છે – ભગવાન પ્રત્યક્ષ છે તે માત્ર નરસિંહને જ, એમ એને અભિપ્રેત છે. નણંદની દીકરીવાળો પ્રસંગ કૃષ્ણદાસમાં નથી એ નોંધપાત્ર છે. ગોવિંદમાં પણ નરસિંહ ભગવાનને પ્રત્યક્ષ જુએ છે અને એની સાથે વાર્તાલાપ કરે છે તેમજ ‘દોશી થઈ બેઠા જગદીશ’ એવી પંક્તિ આવે છે, પરંતુ પહેરામણીની વહેંચણી તો નરસિંહને હાથે જ થતી બતાવાય છે અને ‘માહામેરુ રૂડું કરું તારા તાતે’ એમ એનો સ્વીકાર થાય છે. એટલે કે ભગવાન નરસિંહ સિવાય કોઈને પ્રત્યક્ષ નથી એવો અભિપ્રાય છે. નણંદની દીકરી રહી ગઈ તે પ્રસંગ અહીં છે, પણ નરસિંહની પ્રાર્થનાથી અંતરીક્ષમાંથી અમરી ઊતરીને એને પહેરામણી કરે છે એવું વર્ણન મળે છે. કૃષ્ણદાસ અને ગોવિંદમાં લક્ષ્મીજી નથી એ નોંધપાત્ર છે. ભગવાન અને લક્ષ્મીજી દોશી અને દોશેણને રૂપે આવે, મંડપમાં બેસી પહેરામણી કરે અને લક્ષ્મીજી કુંવરબાઈની સંભાળ લે – એવું સ્પષ્ટ વર્ણન પહેલી વાર વિશ્વનાથમાં જ-અને પછી પ્રેમાનંદમાં – મળે છે. નણંદની દીકરીવાળો પ્રસંગ વિશ્વનાથમાં એવા કોઈ નામોલ્લેખ વિના મળે છે :

કાપડું એક વીસર્યું તેની વિશ્વે જાણી વાત,
કૃષ્ણજીએ કાપડાંનો, વરસાવ્યો વરસાત.

વીગતો ઉપરાંત અભિવ્યક્તિ પરત્વે પણ નરસિંહનાં આ પદોનું સામ્ય વિશ્વનાથ અને પ્રેમાનંદ સાથે છે. નરસિંહના ૧૯મા પદની બધી કડીઓ વિશ્વનાથના મુદ્રિત ‘મોસાળાચરિત્ર’ના એક પદમાં મળે છે-વિશ્વનાથમાં થોડી કડીઓ વધારે છે. આ સિવાય પણ નરસિંહની કેટલીક પંક્તિઓનું વિશ્વનાથ અને વધુ તો પ્રેમાનંદ સાથેનું સામ્ય ધ્યાન ખેંચે એવું છે. ૧. નરસિંહ : મહેતો કહે : ‘દીકરી, ભજ-નાં તું શ્રી હરિ, કરો-નાં પહેરામણી, તેડો ડોશી. આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, નામ પરસિદ્ધ દામોદર દોશી.’ પ્રેમાનંદ : મહેતેજીએ તેડી દીકરી, ‘આ છાબ જુઓ શામળિયે ભરી; પહેરાવો સહુ નાત નાગરી, આ અવસર નહીં આવે ફરી.’ ૨. નરસિંહ : હરખ પામી ઘણું : ‘કામ થ્યું આપણું’, ધાઈ આવી વડ સાસુ પાસે, ‘મહેણાં દેતાં ઘણું, ભગતથી લાજતાં, તે લખપતિ તાતે મારી પૂરી આશ.’ પ્રેમાનંદ : કંકાવટી કર માંહે ધરી, સાસુ પાસે વહુ સંચરી, * ‘વૈષ્ણવ કહીને દેતાં ગાળ...’ * ‘જુઓ કમાઈ દુર્બળ તણી...’ ૩. નરસિંહ : બાંધી છે પલવટ દોશી દામોદરે, જોયે તે વસ્ત્ર આપે છે કાઢી. પ્રેમાનંદ : નાગરની ભીડ ઘણી ભાળી, પછેડીની પલવટ વાળી, આવ્યા છાબ પાસે વનમાળી, છોડી ગાંઠડી વસ્ત્ર આપે ટાળી. ૪. નરસિંહ : કાપડું એક તે પૂરિયું જરકસી, શાંત કીધી ઓલી ઘરડી ડોશી. પ્રેમાનંદ : સારું ખીરોદક ખાધે મૂકી, ડોશીને સમજાવ્યાં જી. ૫. નરસિંહ : રમાએ કુંવરબાઈ રૂદિયા શું ચાંપીઆ, મસ્તક હાથ મૂકીને પૂછે : ‘આવડી દૂબળી ક્યમ કરી, દીકરી, કહે વારૂ તુને દુઃખ શું છે?’ વિશ્વનાથ : કૃપા કરીને રૂદયા લીધાજી, ‘પુત્રી તેં કાં ચિંતા કીધી જી?’ * શિર કર ફેરવ્યો દોશેણ માત જી. પ્રેમાનંદ : એવું કહેતામાં કમળા હીંડ્યાં રે, કુંવરબાઈને હૃદે શું ભીડ્યાં રે, ‘મારી મીઠી ન ભરીએ આંસુ રે...’ ૬. નરસિંહ : ‘મેહેતાજી સાથે માયા એવી ક્યારૂની?’ માન તજી પૂછે વેહેવાણ વાતે, લક્ષ્મીજી ઓચર્યાં : ‘આદિ ને અંતની, માયા અમારી એ મેં જ જાણું. અમારે આ વૈભવ આપ્યો મેહેતા તણો, એક રસના કરી શું વિખાણું? પ્રેમાનંદ : વેવાણ કમળાને એમ પૂછે રે, ‘મહેતા સાથે સગપણ શું છે રે?’ ‘વેપાર દોશીનો, ઘેર કોઠી રે, અમને ઓથ નરસૈંયાની મોટી રે.’ નરસિંહમાં મોસાળું થવાના પ્રસંગે નોંધાયેલો એક વિચાર વિષ્ણુદાસમાં સમોવણના પ્રસંગે, તો ગોવિંદ અને વિશ્વનાથમાં મોસાળું થવાના પ્રસંગે જ જોવા મળે છે? નરસિંહ : વેવાઈ મનમાં કરે વિચાર, ‘એ કોએક કારણ અવતાર.’ વિષ્ણુદાસ : મનમાં કરો વિચાર, ‘નરસિંહ મહેતો કો કારણ અવતાર.’ ગેાવિંદ : વેવાઈ વેવાણ્યો કરે વિચાર, ‘નરસિંહ મહેતો કો કારણ અવતાર.’ વિશ્વનાથ : કુંવરબાઈ હરખ્યાં અપાર જી, પિતા માહારો કારણ અવતાર જી.’ છેલ્લે ‘આત્મચરિતનાં કાવ્યો’માં છોડી દેવાયેલાં અને અન્યત્ર નરસિંહને નામે મળતાં પદોને પરંપરાના સંદર્ભમાં તપાસી લઈએ. ‘કાવ્યસંગ્રહ’ના પદ ૧૮(હા)માં ખોખલો પંડ્યો છે, વડસાસુ છે અને એકબે પંક્તિ સ્પષ્ટ રીતે પછીની પરંપરામાં જોવા મળે છેઃ ૧. નરસિંહ : ‘જો નહોતી મામેરાની પેર તો શું આવ્યા દીકરીને ઘેર?’ વિષ્ણુદાસ : ‘જો તમારે હોએ મોસાળાની પેર તો તમો આવજો મારે ઘેર.’ ગોવિંદ : ‘જો હોએ માહામેરાની પેર્ય, તો તહ્મો આવજ્યો માહારે ઘેર્ય.’ * જો નોહોતી માહામેરાની પેર્ય, તો શીદ આવ્યા માહારે ઘેર્ય?’ ૨. નરસિંહ : “મામેરું કરશે શ્રી ગોપાળ, નરસૈં મહેતો વજાડે તાલ.’ કૃષ્ણદાસ : ‘બાઈપુત્રી જાણે ગોપાળ, મહેતો બેઠા વાહાએ તાળ.’ ‘પંચાંગ’નું ૧૧મું પદ તો આખું જ વિશ્વનાથના મુદ્રિત ‘મોસાળાચરિત્ર’માં મળે છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૧૦

નરસિંહનાં પદોની પાછળની પરંપરા સાથેની તુલનામાંથી ચોખ્ખું દેખાઈ આવે છે કે એ પદો પર કૃષ્ણદાસ, ગોવિંદ વગેરેનો થોડો તો વિશ્વનાથ અને પ્રેમાનંદનો વિશેષ પ્રભાવ છે. પ્રેમાનંદનો તો સૌથી વધારે પ્રભાવ છે. આ પ્રભાવવાળા અંશો બાદ કરતાં નરસિંહમાં બહુ ઓછું બચે. ‘આત્મચરિતનાં કાવ્યો’નાં પદ ૫ (નકાસં, પં, હા), ૬ (પં), ૧૫ (નકાસં, પં, અ, બ), ૧૭ (નકાસં, પં), ૧૮ (અ, બ) ‘કાવ્યસંગ્રહ’ના ૫દ ૨૧ ૫ર આપણે પાછળની પરંપરાનો પ્રભાવ બતાવી શક્યા નથી. આ બધાં જ પ્રાર્થનાનાં પદો છે! એમને નરસિંહનાં હોવાની શંકાનો લાભ આપવો હોય તો આપી શકાય, પરંતુ એમાંથી ‘આત્મચરિતનાં કાવ્યો’નું પદ ૬ માત્ર ‘પંચાંગ’માં મળતું પદ છે. તે ઉપરાંત, પદાવલિ વગેરેનો વિચાર કરતાં ‘આત્મચરિતનાં કાવ્યો’ પદ ૫ (એટલે ‘કાવ્યસંગ્રહ’નું ૨૦મું પદ)માં નરસિંહના કર્તૃત્વ અંગે આપણે શંકા વ્યક્ત કરેલી છે. બાકીનાં પદોમાંથી ‘આત્મચરિતનાં કાવ્યો’નાં પદ ૧૫ અને ૧૭ તે ‘કાવ્યસંગ્રહ’નાં પદ ૨૨ અને ૨૩ છે. ‘કાવ્યસંગ્રહ’નાં ઝૂલણાબંધનાં ૨૧થી ૨૩ એ પદોને કે. કા. શાસ્ત્રીએ નરસિંહની રચના હોવાની શંકાનો લાભ આપ્યો છે એટલે તેને તથા ‘આત્મચરિતનાં કાવ્યો’ના ઝૂલણાબંધના જ ૧૮મા પદને પણ આપણે શંકાનો લાભ આપી શકીએ. પણ સમગ્રતયા જોતાં નરસિંહની મામેરાવિષયક કોઈ રચના હોવાની સ્થિતિ રહેતી નથી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૧૧

જેઠાલાલ ત્રિવેદીએ (નરસૈં મહેતા, વ્યક્તિત્વ અને કર્તૃત્વ, ૧૯૭૩, પૃ. ૧૨૭-૨૮) આત્મચરિતનાં અન્ય કાવ્યોની સાથે ‘મામેરું’ને નરસિંહકૃત નહીં હોવાનું માન્યું છે તેનો પણ, છેલ્લે, વિચાર કરી લઈએ. એમણે નીચેનાં કારણો નિર્દેશ્યાં છે : ૧. સંકલનમાં નજરે પડતી પુનરુક્તિઓ : આ મુદ્દાને આપણે ઉદાહરણો સાથે ચર્ચ્યો છે. ૨. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી જૂની એવી વિશ્વસ્ત સળંગ હાથપ્રતનો અભાવ : ‘કાવ્યસંગ્રહ’નાં પદોને સં. ૧૭૨૫થી ૧૭૫૦ની હસ્તપ્રતનો આધાર છે એમ કહેવાયું છે, જોકે એ હસ્તપ્રત પ્રાપ્ય હોય તો ચકાસવી જોઈએ. તેમ છતાં એ પ્રત પણ નરસિંહના માન્ય સમયથી ૨૦૦-૨૫૦ વર્ષ પછીની છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. ૩. ‘ગામ તળાજામાં જન્મ મારો થયો’ એવો આધુનિક આત્મચરિત્રના સ્વરૂપનો ઉપક્રમ અને ઠેરઠેર ત્રીજા પુરુષમાં આવતી ઉક્તિ : પહેલા પદ પછી આવી જતી ત્રીજા પુરુષની રચનાશૈલી તથા પહેલાં ચાર પદમાં પ્રાચીનતાના અંશો નહીંવત્‌ હોવા તરફ આપણે ધ્યાન ખેંચ્યું છે. ૪. ‘હરખ પામી ઘણું...’ એ પંક્તિઓમાંનું નરસિંહ ન લખે તેવું કુંવરબાઈનું ગર્વવચન : નરસિંહને નામે મળતાં અન્ય પદોમાં નરસિંહ પોતા વિશે ક્યારેક ગર્વથી ઉદ્‌ગાર કરતો જોવા મળે છે, એટલે એ દૃષ્ટિએ આ જાતના નિરૂપણ વિશે વાંધો લેવાનું કેટલું યોગ્ય છે તે પ્રશ્ન છે, પરંતુ પ્રસ્તુત પંક્તિઓ પર પ્રેમાનંદનો પ્રભાવ છે એ આપણે બતાવ્યું છે. પ. ‘નરસિયો’ શબ્દ મોટે ભાગે કવિછાપ તરીકે નહીં પણ વસ્તુમૂલક અર્થમાં હોવો : આત્મચરિત્રાત્મક કાવ્યમાં વસ્તુમૂલક અર્થમાં આવેલું નામ કવિછાપ તરીકે કામ આપી શકે, અને નરસિંહનાં તો અન્ય પદોમાં પણ પોતાના નામનો આ રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે; એટલે કે ‘ભણે’ના અર્થની રચના હોતી નથી. તેથી આ કારણ પૂરતું મજબૂત નહીં ગણાય. તેમ છતાં કવિછાપની રીત સમગ્રપણે જોતાં વહેમ જગાવે એવી જરૂર છે. જેઠાલાલ ત્રિવેદીએ કાવ્યકૃતિના સધન અભ્યાસ દ્વારા નહીં પણ સહેજે સૂઝેલાં બેત્રણ કારણોને આધારે પોતાનો અભિપ્રાય રચ્યો હતો, પરંતુ આજે આપણે કૃતિના સઘન અભ્યાસથી એ અભિપ્રાયનું સમર્થન કરી શકીએ છીએ.

પાદટીપ :

  1. એ વાચના આ ગ્રંથમાં હવે પછી છાપી છે, પરંતુ આ લેખમાં નિર્દિષ્ટ પદક્રમાંક ‘પંચાંગ’નો છે. આ પછી મુદ્રિત વાચનામાં સ્વાભાવિક રીતે જ એ પદક્રમાંક બદલાઈ જાય છે.
  2. નરસિંહની આ પંક્તિઓને મળતી જ પંક્તિઓ એના ‘પુત્રનો વિવાહ’માં પણ છે. એ કૃતિનું કર્તુત્વ પણ ચકાસવા જેવું છે.
  3. ભ્રષ્ટ અને ખંડિત પ્રત પરથી છપાયેલી વાચનાનો આ દોષ હોઈ શકે. આ અને બીજી કાવ્યસંકલનની ખામી રચનાની પ્રમાણભૂતતાને પણ સંદિગ્ધ બનાવે એવી છે.

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted