બાળ કાવ્ય સંપદા/અભિલાષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અભિલાષ

લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)

તારો હું મા, બેટો જ્યારે
બનીશ મર્દો મોટો,
ઘરધંધો કરતાં તુજને તવ
થાક ન ચડશે ખોટો.

મારા ચાકરનોકર એ સહુ
ઘરનો ધંધો કરશે;
તું તારે હીંચોળે ઝૂલી-
આ કર, તે કર-કરજે.

દેવસેવની ફૂલછાબમાં
સૂકાં પર્ણો જોઈ;
તે વેળા નહિ માડી, તારે
રહેવું પડશે રોઈ.

ઘરવાડીનાં ગુલાબ મોટાં,
પારિજાત ચંપેલી,
જાતજાતનાં, રંગરંગનાં
ચડાવજે મન મેલી.

દેવદ્વારથી પાછાં ફરતાં
માગણ હાથ પસારે,
અચકાતાં ખચકાતાં ત્યારે
પાઈ ન દેવી તારે.

માગણ સહુ વીંટાવા દેજે,
લૂટવા ભરેલ થેલી;
ફરી કરશે ચડી વહાણે બેટો
લક્ષ્મી પાય પડેલી.

તે વેળા નહિ લોક ગામના
ગણશે ગરીબ ઘરની;
ભર્યાં ગામની મોટેરી શી
પંકાશે મુજ જનની.

ભાગોળે બંધાવીશ મોટી
ધર્મશાળ તુજ નામે,
દેશદેશના પંથી વહેશે
તવ યશ ગામોગામે.