કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/પ્રણય ખાતર જ પ્રણય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૫. પ્રણય ખાતર જ પ્રણય

ઊગીને આકાશે પ્રતિપદ-શશી કો સરવરે
ધીરે ધીરે આંકી રજતરસરેખા પ્રતિદિને
ભરે પૂર્ણિમાએ નિજ રસથી સંપૂર્ણ સર એ.
સહુ સંબંધો આ જીવન મહીં મેં એમ ’નુભવ્યા,
હવે પૂર્ણેન્દુશી સહુ મુજ રતિ તું પર ઢળી.
ચઢેલું તારું જે ઋણ, જીવન પર્યંત વીસરું?
ભૂલું આ જન્મે તો નહિ જ કદિ. જન્માંતર તણી
વૃથા વાતે રાચું? ચહું છું ઋણ-મુક્તિ સતત હું;
અને પ્રાર્થું છું કે વિફળ મુજ આશા નહિ કરે –
યદિ એવું થાયે – નિઠુર કદી નારી થઈ શકે?
યદિ એવું થાયે અનુભવ અધૂરો તુજ ગણું.
બધા પ્રેમે મારા – જીવનસખી, મૈત્રી, જનનીના
’થવા બંધુપ્રેમે — શિશુઉર મહીં જે નવ પ્રીછ્યું
મને સ્હેજે લાધ્યું – નથી વીસરવું – મુગ્ધ પ્રણયે;
શુચિ સૌન્દર્યોની પરખ તુજ આંખો મહીં મળી
અરાગી–આસક્તિ, પ્રણયરતિની સિદ્ધિ ય મળી.
નવાણો ફૂટ્યાં આ મરુભૂમિ તણાં યે તુજ થકી
વહ્યાં કાવ્યોનાં એ જલ અધિક વ્હે એ જ વિનતિ.
અનન્યા આસક્તિ કવિ-ઉરની તારા જીવનમાં
કહું સાચું, પામે નહિ જ કદીયે અન્ય ઉરમાં;
યદિ માગે હૈયું હળવું તૃણશું તે ય દઉં હું,
ઉરોષ્મા પુષ્પોની સુરભિસમ માગે દઉં તને,
રુચે તોફાનો તો ધરતી પર નાચું કર ગ્રહી,
કરી લે નક્કી તું કઈ વિધ તું લેશે પ્રણય આ
કહે, બંધુત્વે વા સુહૃદ, પ્રણયીના સ્મરણનો?

૧૭-૧૨-૧૯૪૧(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૮૮-૮૯)