કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/પ્રણયઘનની ગાઢી
Jump to navigation
Jump to search
૨૬. પ્રણયઘનની ગાઢી
પ્રણયઘનની ગાઢી છાયા છવાઈ હતી તદા
મુજ હૃદયના ભાવો જાણી. અજાણ બની રહી
તુજ નયનની વિદ્યુત્ શાને હતી વરસાવતી?
સુતનુ! તુજ એ વિદ્યુલ્લેખા, સુમંજુલ, નર્તને
મુજ પ્રણયને અર્પી દીધો સ્વીકાર કરે ન વા,
નહિ જ કદી યે પ્રેમોત્કંપો ઘટે અવમાનવા.
હૃદયદ્વય જો ના પ્રીછાયાં, હતી વિધિનિર્મિતિ;
સુતનુ, તુજને વ્હાલાં લાગે, તુફાન મને ય તે,
ઉરરમતની મસ્તી માંહે ભીરુ ન થવું ઘટે.
તુજ હૃદયને તેં પ્રીછ્યું ના, પ્રિછાવિયું એ સજા?
અરૂપ રૂપની ગાથા, ગાથા સનાતન પ્રેમની
પ્રગટ તુજથી થાવા માગે મનુષ્યની વાંછના.
વિધિવશ મળે સૌએ, સૌએ છૂટાં વિધિથી થવું;
જીવતર મહીં થોડું જીવી, ઘણું ન બગાડવું;
ગત વીસરવું, ભાવિ સાચું પુનઃ સરજાવવા.
૫/૬/૮-૧૦-૧૯૪૨ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૯૧)