મર્મર/શ્રાવણ રાત

Revision as of 01:23, 15 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)


શ્રાવણરાત

મારા મનની વાત
ક્હેતી શાને શ્રાવણરાત!
અનિલતણી ભીની લહરોમાં
નિશ્વાસો વહી જાય,
ટપ ટપ નભથી પડતાં ફોરાં
અશ્રુકથા કહી જાય;
વ્યાકુલ વિરહની વાત
ક્હેતી શાને શ્રાવણરાત!
વાદળના વીજચમકારામાં
ખીલતું કોકનું સ્મિત,
મયૂરગણો જે ગહકી ઊઠતા
પાગલ મારી પ્રીત;
વસમી વીતવી રાત
ક્હેતી જાણે શ્રાવણરાત!