ગિરીશ ભટ્ટની વાર્તાઓ/ગિરીશ ભટ્ટની વાર્તાઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 30: Line 30:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{right|'''જાન્યુઆરી ૨૦૨૫,'''<br>'''વલ્લભ વિદ્યાનગર'''}}
{{right|'''જાન્યુઆરી ૨૦૨૫,'''<br>'''વલ્લભ વિદ્યાનગર'''}}<br>


<br>
<br>

Latest revision as of 10:30, 9 March 2025


॥ શ્રી ગિરીશ ભટ્ટની વાર્તાઓ ॥

મણિલાલ હ. પટેલ

ગુજરાતી ટૂંકીવાર્તા દરેક દાયકે સમૃદ્ધ થતી આવી છે. વાર્તા ક્ષેત્રે નવા અને પ્રયોગશીલ તથા પોતીકી ભાતે વાર્તા લખનારા વાર્તાકારો આવતા રહે છે. વળી આગલી પેઢીના વાર્તાકારો પણ સક્રિય હોય છે. આપણા અનેક વાર્તાકારો ટૂંકી વાર્તા ક્ષેત્રે વિશિષ્ટ પ્રકારની, વાસ્તવને તાગતી અને જીવનસન્દર્ભોને વાર્તામાં રૂપાંતરિત કરીને કલા-અનુભવ કરાવતી વાર્તાઓ વડે કથા સાહિત્યને સમૃધ્ધ કરતા રહ્યા છે. આજે અહીં પરંપરાગત શૈલીમાં લખીને પણ કેટલીક સત્ત્વશીલ અને સાહિત્યિક મૂલ્ય ધરાવતી વાર્તાઓ આપનાર, વયસ્ક છતાં નિયમિત (છેલ્લા દોઢેક દાયકાથી) રીતે વાર્તા સર્જન કરનાર વાર્તાકાર શ્રી ગિરીશ ભટ્ટની થોડીક વાર્તાઓ વિશે વાત કરવી છે. ઈ.સ. ૨૦૦૮માં ‘એક અનુરાધાની વાત’ નામે પ્રથમ વાર્તાસંચય લઈ આવનાર ગિરીશ ભટ્ટે ૨૦૨૨ સુધીમાં આપણને એમણે દસ વાર્તાસંગ્રહો આપ્યા છે. વચ્ચેનાં વર્ષોમાં એમણે નવ વાર્તાસંગ્રહો આપ્યા છે. જેમાં મુખ્યત્વે ‘ટોપીઓ ભરતી સ્ત્રીઓ’, ‘રેખલીનું મન’, ‘ગ્રુપફોટો’, ‘અત્તરગલી’, ‘સુગંધ’, ‘ગોત્ર’, ‘બે તારીખો વચ્ચે’, અને ‘તુંહિ તુંહિ’નો સમાવેશ થાય છે. વાર્તાકાર ગિરીશ ભટ્ટે કુલ એકસો ત્રીસથી ય વધુ વાર્તાઓ આપી છે. આ કાર્ય આમ કાંઈ નાનું તો ન જ કહેવાય. પણ વાર્તાઓની સંખ્યા એ કાંઈ સફળતાસૂચક તો નથી જ. લેખકની વાર્તાઓ આપણાં જાણીતાં સામયિકો ઉપરાંત આપણાં કલા અને પ્રયોગશીલતાને ‘પ્રમોટ’ કરવા તત્પર એવાં સામયિકોમાં પણ પ્રકાશિત થઈ છે. દા.ત. પરબ, શબ્દસૃષ્ટિ, સમીપે, એતદ્‌-વગેરે. જો કે એથીય વિશેષ મહત્ત્વનું છે એ તો લેખકની વાર્તાકલા વિશેની સૂઝ અને એ માટેની મથામણ! ગિરીશ ભટ્ટ જાણે છે કે ટૂંકીવાર્તા આખા જીવનને કે આખેઆખા માણસને લક્ષતી નથી... એ તો અંશને જ, બીજા સન્દર્ભો વડે સંકેતો થકી ઉજાગર કરે છે. આ લેખક વાર્તામાં ભારેખમ ઘટનાઓ કે પ્રસંગોને યોગ્ય રીતે જ આલેખતા નથી, એ આછીપાતળી ઘટનાને, પ્રસંગને લે છે તથા એ ઘટના-પ્રસંગે જગવેલાં સંવેદનોને બરાબર પકડીને રસાળ ભાષામાં સહજ રીતે આલેખે છે.‘એક અનુરાધાની વાત’ ઉક્ત ભૂમિકાએે ધ્યાનપાત્ર છે. પતિને પામવા ઉત્સુક એવી ઘણા સમયથી પ્રતીક્ષારત યુવતીના અંતર-બહિરને, બે પાત્રનો (બેય જાણે બ્હેનો હોય) રહસ્યાભાસ, રચીને અભિવ્યક્તિ આપે છે. પરિવેશ રચીને કથામર્મ પ્રગટાવતી ‘અત્તરગલી’ વાર્તા પણ કલાની ભૂમિકાએ ખરી ઊતરેલી છે. કેનેડાના, નોબેલ વિજેતા વાર્તા સર્જક વાર્તા માટે કહે છે કેઃ ‘‘ટૂંકીવાર્તા ઘર જેવી હોય છે, જેમાં તમે વસો છો, થાક ઉતારો છો, તેની ભીંતોને અઢેલીને બેસી શકો છો ને બારીમાંથી વિશ્વ નિહાળી શકો છો.’’ ગિરીશ ભટ્ટને પણ વાર્તા પાસેથી આવી જ ઉમેદ હોય છે ને આપણે ભાવક તરીકે આવી વાર્તાઓ વાંચીએ છીએ ત્યારે આપણને પણ આપણી અનુભૂતિના ઘરમાં પ્રવેશ્યાનો અહેસાસ થાય છે. વાર્તા તણખો મૂકી જાય છે ને ‘તણખા’માંથી દીવો પ્રગટાવે છે-બંને વાતો આ લેખકની વાર્તાઓમાંથી પમાય છે. ગ્રુપફોટો, સુગંધ અને અન્ય વાર્તાઓ આપણનેય નિજ ઘરમાં હોવાનો અનુભવ કરાવે છે. ગિરીશ ભટ્ટની વાર્તાઓમાં કસબાનું, કોઈ નાના શહેરનું કે શહેર બનવા મથતા મોટાગામનું જીવન પ્રતિબિંબિત થાય છે. ત્રિસ્તરીય મધ્યમ વર્ગ, મજૂરવર્ગ, વિધવાઓ, બીજવર થવા આતુર પુરુષો, વય વીતી ગયા પછી યોગ્ય સાથી શોધતાં સ્ત્રી-પુરુષો, અવૈધ સમ્બન્ધો માટે ઉત્સુક પુરુષો, એકલાં પડી જતાં ઘરડાં સ્ત્રી-પુરુષો, નોકરિયાત સ્ત્રીપુરુષોના સમ્બન્ધો અને સમસ્યાઓઃ ગિરીશ ભટ્ટની વાર્તાઓનું આ વસ્તુજગત છે. પતિ-પત્નીની અને કુટુમ્બ તથા સમાજગત સમસ્યાઓ પણ અહીં વણાતી આવે છે. આ વાર્તાજગતની આવી બહુરંગી કથાસૃષ્ટિ ભાવકને આકર્ષે એ રીતે લેખક કહેતા-વર્ણવતા અને પ્રક્રિયારૂપે કદીક બતાવતા ચાલે છે. આ વાર્તાઓનો વાચક રસ-પૂર્વક આગળ વધે એવું કુતૂહલ કર્તા જગવી આપે છે. ગિરીશ ભટ્ટની વાર્તાઓના થોડાક વિશેષો નોંધીશું:

» લેખકને વાર્તાક્ષણ (સગર્ભ મોમેન્ટ) પરખતાં ને પકડતાં આવડે છે. આરંભથી અંત સુધી વાચકને કથાકથન પકડી રાખે છે.
» લેખક રચના પ્રપંચ કે બિનજરૂરી ટેકનિકોની કોઈ જાળ બિછાવતા નથી. થોડાક લસરકાઓમાં એ વાતાવરણ રચી અને પાત્રને જીવતું જાગતું કરી દે છે. દા.ત. ‘ટોપીઓ ભરતી સ્ત્રીઓ’-વાર્તાનું આ દૃશ્ય વાંચોઃ

‘‘આખો ખાંચો મેરાઈ-પા તરીકે ઓળખાય. દસ ઘર આમ ને દસ ઘર સામાં. ઢળતાં દેશી નળિયાંવાળાં છાપરાં ને આગળ જાળીવાળાં જૂનાં મકાનો. એક લક્ષ્મીના ઘરને પાકાં વિલાયતી નળિયાં, ઓટલો, ચાર પગથિયાં ને રંગીન બારણું- બારીઓ ઉપર પરદા પણ ખરા, અને અંદરનો સામાન પણ અલગ. પોચી પથારીવાળો મોટો પલંગ, અરીસા-વાળું કબાટ અને ટેબલ પર મુંબઈથી રસિકે આણેલું ગ્રામોફોન. લક્ષ્મી જાળવીને ખોલે, રજ સાફ કરે, રૂપેરી હેન્ડલમાં પીન ભેરવે, કબાટમાંથી રેકર્ડ કાઢે, સાડીના પાલવથી સાફ કરે, છોકરાં છાબરાં મુગ્ધ થઈ જોયા કરે... લક્ષ્મી એકાદ મિનિટમાં ગ્રામોફોન વાગતું કરી દે...’’ પણ લક્ષ્મીનો મુંબઈની ચાલીમાં દરજી કામ કરતો ને વધારે રૂપિયાનું મની ઓર્ડર કરીને લક્ષ્મીને સજી રાખતો પતિ કોઈ પારસણના પ્રેમમાં હોવાની વાત આવે છે ને લક્ષ્મીની રંગીન દુનિયા નંદવાઈ જાય છે. એ ય પેલી ઓગણીસ પત્નીઓની જેમ પાછી ટોપીઓ ભરતી થઈ જાય છે. નારીજીવનની અનેક વેદનાગ્રસ્ત વાતો આ વાર્તાઓ કહે છે.

» વાર્તાકાર પ્રતીકો-કલ્પનોની ભાષા પણ નથી યોજતા. વાર્તામાં સંવેદના દ્વારા પાત્રને માટે આપણો પક્ષપાત જગવતો લેખક સંઘર્ષાત્મક પરિસ્થિતિઓની સંનિધિ રચી આપે છે. દા.ત ‘ડર’ વાર્તા જુઓ. કટક પાસે મહા નદીના તટે ઝૂંપડીમાં રહેતો કાલી બેત્રણ વર્ષથી વિધુર છે ને હાથે બળે છે-કારખાને મજૂરી કરે છે. ત્યાંનો કુખ્યાત બદમાશ રામચરણ એક રાતે કાલીને છાપરે એક ઓરતને અઠવાડિયા માટે સાચવવા મૂકી જાય છે. બિચારો કાલી અને ઓરત બેઉ ધ્રૂજે છે. બીજે દિવસે ખબર આવે છે કે રામચરણને પોલિસે પકડીને જેલમાં નાખ્યો છે. એટલે કાલી અને ઓરત(પારો) બંને મંદિરમાં જઈને પતિપત્ની થઈ જાય છે. હજી એકબે રાત સુખ મળે ન મળે ત્યાં ખબર આવે છે કે રામચરણ જેલ તોડીને ભાગ્યો છે. અહીં છાપરીમાં કાલી- પારોના જીવ તાળવે ચોંટી જાય છે.

બહુ લાંબી કથા-પળોજણ નહીં, પાંચસાત પાનાંમાં કથા સરસ કહેવાઈ જાય છે. પ્રથમ પુરુષ એકવચન અને સર્વજ્ઞની કથન રીતિઃ વાર્તાકાર બંને કથનરીતિનો લાભ લે છે બલકે કસ કાઢે છે. ઘણીવાર કથાદોર સહજમાં જ પાત્રના હાથમાં જતો રહે છે ને વાર્તા મજાથી ઊકલતી આવે છે. ‘શુભા’ જેવી સંકુલ સંવેદનાની બહુસ્તરીય વાર્તા ભાવકને ઊંડે સુધી અજંપ કરી મૂકે છે. પરદેશમાં ભણવા પહોંચી ગયેલી શુભા કેવી રમતિયાળ હતી. વ્યોમા એની વાતો કરે છે. અંતે આવે છે બીમાર શુભાના મરણના સમાચાર! આંગ્લ પતિ આર્થરે એને ખૂબ સાચવી પણ એ ન બચી! ‘પલંગનું સ્થાનાંતર’ હોય કે ‘સોનલ’ વાર્તા હોય: સહુમાં નારીજીવનની વેદનાઓનું કરુણ આલેખન! આ લેખકને નારીજીવનની ભીતરી સંવેદનાઓ આલેખવાનું સારું ફાવ્યું છે. બહુ સચ્ચાઈ અને વફાદારીપૂર્વક જીવતી સ્ત્રીઓની પીડાઓ ભાવકના મનમાં પ્રશ્નો કરે છે કે- ‘જીવન આવું કઠોર કેમ છે?’ ગિરીશ ભટ્ટની વાર્તાઓમાં એમનો મધ્યમ વર્ગીય ભદ્ર-સમાજ વધુ વખત આવ્યો છે. એમણે છેલ્લાં સિત્તેર વર્ષોમાં પોતાનો સમાજ બરાબર જોયો છે. એમાં પારાવાર એબ છે, પીડા છે, પળોજણો છે. નારીને માથે પસ્તાળ પડતી રહી છે. લેખકે પોતાની ચારે બાજુએ નજર ફરતી રાખી છે, એમને દરેક જીવતા મનેખમાં વાર્તા દેખાઈ છે, ને આમ, એમણે પરંપરાગત રીતિમાં સામાજિક વાર્તાઓ રચીને સમાજને એનું મૂળ રૂપ બતાવ્યું છે, ‘વાર્તા અનુભૂતિકણ છે’-(ઉમાશંકર) અને ટૂંકીવાર્તા ‘ક્ષણાર્ધનું મહાભારત છે’(જ. દલાલ): ગિરીશ ભટ્ટ આ બંને વ્યાખ્યાઓને જાણે-અજાણે અનુસર્યા છે ને સફળ વાર્તાકાર બન્યા છે. એમની કેટલીક વાર્તાઓ કલામર્મીઓને ગમી છે તો ઘણી બધી વાર્તાઓ લોકભોગ્ય બની રહી છે. સાહિત્યિક ગુણવત્તા ગુમાવ્યા વગર જીવનમૂલ્યોની વાર્તાઓ લખનાર ગિરીશ ભટ્ટની થોડીક વધારે વાર્તા વિશે નોંધવું જરૂરી છે. ખાસ તો આ ચયનની વાર્તાઓના વિશેષો પણ ખૂબ ધ્યાન ખેંચે છે તે પણ જોઈએઃ આ ચયનની તમામ વાર્તાઓ નારીકેન્દ્રી છે. નારી સંવેદનાનું આલેખન, સ્ત્રીજીવનની કેટલીક સમસ્યાઓ અને સમકાલીન સામાજિક પરિસરનું સહજ પીઠિકારૂપ આલેખન સંવેદ્ય છે. ‘પલંગનું સ્થાનાંતર’ વાર્તા બહુ હૃદયસ્પર્શી છે. સરિતા અનાથાશ્રમમાં મોટી થઈ છે. એ જ એનું પિયર-ઘર છે. ચોવીસની થઈ ત્યારે એક બીજવીર એવા માસ્તર સાથે એને વળાવવાની ઘટના છે-આશ્રમના પરિસરનું આલેખન અને સરિતાની મનઃ સ્થિતિનું ચિત્ર વાર્તાને જીવંત બનાવે છે. સરિતા પતિને ત્યાં આવી-બે સાવકી દીકરીઓ હવે મોટી થવા આવી છે-ભણે છે. મોટી તો નવી બા સાથે ભળી જવાની સમજ કેળવે છે પણ નાની સુનંદાનું મન માનતું નથી. છેવટે સુનંદા પરણીને સાસરે જાય છે ને નવીબાને તથા પરિસ્થિતિને સમજતી થાય છે વાર્તાનો અંત અર્થપૂર્ણ અને વ્યંજનાગર્ભ બન્યો છે. ‘ગ્રુપફોટો’ વાર્તામાં પ્રત્યાખ્યાન નહિ પામેલા પ્રેમની કથા ભાવકમાં પણ ચચરાટ અને સંવેદના જગવે છે. ‘એક અનુરાધાની વાત’ તથા ‘રેખલીનું મન’-બંને વાર્તાઓમાં ગિરીશભટ્ટની કથા-કથનની કળાની કમાલ મનને પ્રસન્ન કરી દે છે. બંને વાર્તાઓ સંચયોનું શીર્ષક બનેલી છે. અનુરાધામાં બે વ્યક્તિત્વ છે. પરણ્યો પસંદ કર્યા પછી જીવ, એની સાથે પ્રથમ મુલાકાત વખતે જોવા-મળવા આવેલા મિત્રમાં ભેરવાઈ રહ્યાનો ભાવ વાર્તાને રહસ્યમય બનાવે છે. પતિના મિત્રમાં જીવ પરોવતી-જીવ બાળતી ‘રાધા’ તે ‘અનુ’ની ‘સેકન્ડસેલ્ફ’ જ છે. આમ એક ‘અનુરાધા’માં એક ‘અનુ’ છે જેને પતિ હવે વ્હાલો છે-તો બીજી રાધા છે જેને હજી પતિના મિત્ર તરફ પ્રેમભાવ છે. ને એ મળવાય જાય છે-કબૂલેય છે!! નારી મનની અકળતાને અહીં સહજ રીતે રમતી મૂકીને મનમાં ઊઠતી કસકને સંવેદ્ય બનાવી છે. ‘રેખલીનું મન’ વાર્તા કથનકલાની સહજ સુરેખ રીતિ અને પાત્રના મનોજગતને સંકેતોમાં રજૂ કરવાની કર્તાની ફાવટ તરફ ધ્યાન ખેંચે છે. રેખલી રૂપાળી અને મનમોજી છે, દેવલા જેવો-‘રાણી રાણી’ કહીને ચાહનારો ડ્રાઈવર પતિ મળ્યો છે, સાસુ પણ ગુણાનુરાગી છે. ગરીબી તથા અભાવો પ્રેમ અને સંતોષ આડે ઢંકાઈ જાય છે-પણ દેવલો જુગારને રવાડે ચઢી અને દેવું કરીને જતો રહે છે. રેખલી તો સાસુની ચિંતામાં ને દેવલાની રાહ જોવામાં દિવસો પસાર કરે છે-ત્યાં એને સખી સૈયર પાપડ વણવાની સંસ્થામાં કામ અપાવે છે. એનો માલિક-ઘરભંગ થયેલો-સાવંત રેખલી તરફ આકર્ષાય છે ને રેખલીનું મન પણ એ દિશામાં જવા ચાહે છે. કાયા અને માયાની આ વાર્તા રોમાન્સના ધાર પર રહીને પણ કરુણનો અનુભવ કરાવે છે. ‘બંધ ગલી’માં ઉંમરમાં આવેલી ને કુંવારી રહી ગયેલી ત્રણ બ્હેનોની દિનચર્યા અને મનોજગતનું આલેખન છે. પણ ‘લુપ્ત નદી’ એક ઉત્તમ વાર્તા બની આવી છે. શુભા મા બની છે-પ્રથમ પ્રસૂતિ માટે પિયર આવેલી છે. શુભાની છાતીમાં દૂધ છલકાય છે- પણ એ જન્મી ત્યારે એની બા-ને દૂધ ન્હોતું આવતું. એને જે સ્ત્રીએે ધવરાવેલી એને મળવા માટે શુભા જાય છે-માને એ નથી ગમતું! શુભા એ ઘર શોધી કાઢે છે ને એક સ્ત્રી મળે પણ છે-જોકે એ પેલી સ્ત્રી નથી- એ તો છ માસ પ્હેલાં આ ઘર વેચીને શહેરમાં દીકરા પાસે ગયેલી ને કેન્સરમાં મૃત્યુ પામેલી છે-એ વાત નવી માલકણ કહે એ પહેલાં તો શુભા એને ધવરાવનારી મા માનીને વળગી પડે છે. આ સ્ત્રીને તો સંતાન પણ ન્હોતું...જોકે એ શોભાને દીકરી રૂપે પામીને ધન્ય થઈ જાય છે. ગોત્ર, પીડા ને આવેશ જેવી વાર્તાઓ પણ કુટુમ્બ જીવન, વેદના, એકલતા ને અધૂરપોની કથની કહે છે. સહુને પ્રેમ જોઈએ છે; સધિયારો જોઈએ છે. સુખની ભ્રાન્તિમાં રાચતા મધ્યમવર્ગની જીવનચર્યાને વર્ણવતી આ વાર્તાઓ ભાવકોને પ્રસન્ન કરે એવી છે. સમાજની રસરુચિ ઘડવામાં આવી વાર્તાઓનું બહુમૂલ્ય પ્રદાન હોય છે....

જાન્યુઆરી ૨૦૨૫,
વલ્લભ વિદ્યાનગર