પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/થોડા સવાલ : એક જવાબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


થોડા સવાલ : એક જવાબ

પ્લેટો પછીના કે આધુનિક વિવેચનના અભ્યાસીને માટે પ્લેટોની દલીલોનો જવાબ વાળવો કદાચ બહુ મુશ્કેલ નથી. પ્લેટો પછીના પશ્ચિમના મીમાંસકોમાં પ્લેટોની વિચારણાનો તંતુ આગળ લંબાતો જોવા મળે છે –એની સાધકબાધક ચર્ચાઓ પણ મળે છે. એટલે એ કામનો ભાર આપણે ન ઉપાડીએ તો ચાલે, છતાં પ્લેટોની સાહિત્યવિચારણાનાં કેટલાંક ચિંત્ય સ્થાનો અત્યંત સંક્ષેપમાં અહીં તારવી લઈએ, પ્લેટોની થોડી ઊલટતપાસ કરી લઈએ, તો કશું ખોટું નથી. (૧) પ્લેટોને પહેલો પૂછવા જેવો પ્રશ્ન તો એ છે કે એમણે કલા પર સત્યદર્શનનો અને સદાચરણબોધનો હેતુ આરોપીને એ હેતુ કલા સિદ્ધ નથી કરતી માટે એ અનિષ્ટ છે એવી અવળી મીમાંસા કેમ કરી? એ પોતે જ એક સ્થળે કહે છે કે દરેક જીવંત કે નિર્જીવ આકૃતિની કે માણસની દરેક ક્રિયાની ઉત્કૃષ્ટતા, સુંદરતા કે સત્ય એ સાપેક્ષ વસ્તુ છે અને એનો સંબંધ કુદરત કે કલાકારે એનો જે ઉપયોગ વિચાર્યો હોય તેની સાથે છે.[1] પ્લેટોએ પોતાના આ સિદ્ધાંતનો લાભ કળાને કેમ ન આપ્યો? અને કળાના હેતુનો તટસ્થ ભાવે નિર્ણય કરી એના અનુષંગે એની સિદ્ધિનું મૂલ્યાંકન કેમ ન કર્યું? કે પછી લલિતકલા અને ઉપયોગી કલાનો ભેદ પ્લેટોના સમયમાં સ્પષ્ટ નહોતો થયો એને કારણે એમણે બંનેનાં પ્રયોજનોને ગૂંચવી માર્યાં? અને ચિત્રકાર સુતારનો હરીફ નથી, પલંગનું ચિત્ર દોરે એટલે પલંગ બનાવતાં પોતાને આવડે છે એવો એનો દાવો નથી, (જેમ યુદ્ધનું વર્ણન કરનાર હોમરનો પોતાનામાં કુશળ સેનાપતિ થવાની શક્તિ છે એવો દાવો નથી) એ સાદીસીધી વાત ભૂલી જઈ, ઉપયોગી કલાને ધોરણે એમણે લલિતકલાને માપી એ પણ એ ગૂંચવણનું જ પરિણામને? (૨) પ્લેટોએ અવારનવાર આણ આપી ભાવનાત્મક સત્યની, પરંતુ એમણે કવિતા-કળાને માપ્યાં તે તો વાસ્તવિક, ઇન્દ્રિયગમ્ય, પદાર્થગત, સ્થૂળ સત્યના ગજથી, એવું નથી લાગતું? નહીં તો સુતારના પલંગ કરતાં ચિત્રકારનો પલંગ ઊતરતો છે એવી દલીલ એ કેમ કરે? વળી, એમણે એમ કેમ ન વિચાર્યું કે બાહ્ય પરિદૃશ્યમાન જગતનું અનુકરણ કરતો કલાકાર પોતાની કલ્પનાદૃષ્ટિથી એ ભ્રાન્તિરૂપ જગતની પાછળ રહેલા ભાવનાત્મક સત્યનું દર્શન કરી શકે અને કાવ્યની ઇન્દ્રિગમ્ય સૃષ્ટિ દ્વારા એ ભાવનાત્મક સત્યની ઝાંખી પણ કરાવી શકે?[2] કે પછી બુદ્ધિને જ સત્યપ્રાપ્તિનું પરમ સાધન માનતા પ્લેટોને મતે ઇન્દ્રિયવ્યાપાર કે કલ્પનાવ્યાપાર દ્વારા સત્યદર્શનનો સંભવ જ નહોતો.[3] પરમ અને પૂર્ણ સત્યની તો ઝાંખીયે આ દેહે થવી અશક્ય છે, એ મન કે વાચાનો વિષય નથી, તેમ એ નથી મળતું તત્ત્વજ્ઞાનીને, વિજ્ઞાનીને કે કલાકારને. આપણને સાંપડે છે તે તો સત્યના અંશો – એનાં જુદાંજુદાં પાસાં. સત્ય નહીં પણ સત્યો આપણને સાંપડે છે. તો પછી કલા, બુદ્ધિ દ્વારા નહીં તો કલ્પના દ્વારા, સત્યનો કોઈ અંશ – સત્યનું કોઈ પાસું રજૂ કરે છે કે નહીં એ રીતે પ્લેટોએ કેમ ન વિચાર્યું? પલંગનું ચિત્ર દોરનાર ચિત્રકાર પલંગની લાક્ષણિકતાઓ ઉપજાવે તો એ પણ એક સત્ય નહીં? કવિ કવિતાસર્જન દ્વારા પોતાના હૃદયના વ્યાપારોનું સત્ય સ્વરૂપ સમજવા પ્રયાસ કરે તો એનું કંઈ મૂલ્ય નહીં? (૩) પ્લેટોએ બુદ્ધિનું ગૌરવ કર્યું અને લાગણીને ઉતારી પાડી. બુદ્ધિની જેમ લાગણી પણ માનવચેતનાનો એક અનિવાર્ય અંશ છે અને માનવજીવનની અનેક શુભ પ્રવૃત્તિઓની પાછળ લાગણીનું સંચલન પણ કામ કરતું હોય છે એ પ્લેટોને કેમ ન સમજાયું?[4] ઉચ્ચ હેતુ માટે તો બુદ્ધિ અને લાગણી બન્નેને કેળવવાનાં રહે છે, અને લાગણીનાં ભયસ્થાનો હોય –કદાચ થોડાં વધારે હોય તો – તો બુદ્ધિનાં પણ થોડાં છે, એ પ્લેટો કેમ ભૂલી ગયા? બુદ્ધિ પ્રાકૃતિક જગતનું રહસ્ય વધારે સારી રીતે સમજી શકે એટલે તે શ્રેયમાર્ગ પણ વધારે સ્પષ્ટતાથી જોઈ શકે એમ માનવાને કંઈ કારણ નથી. શ્રેય અને પ્રેય વચ્ચેનો ભેદ મનુષ્ય નથી સમજતો બુદ્ધિ દ્વારા; કે નથી સમજતો ઊર્મિ દ્વારા; તે માટે તો સ્વતંત્ર અંતઃકરણપ્રવૃત્તિ છે. એને ઊર્મિ રૂંધી શકે તો બુદ્ધિ પણ અવળે રસ્તે દોરે છે. દાખલા તરીકે, વકીલ પોતાના અસીલના લાભમાં, સાચી કે ખોટી રીતે, બુદ્ધિ લડાવતો નથી? પ્લેટોએ પોતે પણ એમના સાહિત્યવિવેચનમાં શું કર્યું છે? બુદ્ધિનો ઉપયોગ તટસ્થ ન્યાયાધિકારીની જેમ સત્યશોધન માટે જ કર્યો છે એમ કહી શકાશે ખરું? વળી, જીવનને ઊર્મિવિહીન કરવાથી – જો એ શક્ય હોય તો – અને કેવળ બુદ્ધિનો આશ્રય લેવાથી મનુષ્ય શ્રેયને માર્ગે જ વળશે એની કોઈ ખાતરી નથી. અને અંતઃકરણપ્રવૃત્તિને બુદ્ધિનાં ભયસ્થાનોથી સુરક્ષિત રાખી શકાય તો ઊર્મિનાં ભયસ્થાનોથી પણ કેમ ન રાખી શકાય? પ્લેટોએ આ રીતે વિચારવું જોઈતું હતુંને? (૪) કવિતા ખરેખર બુદ્ધિને રૂંધે છે? કે બુદ્ધિને લાગણીનો સ્પર્શ આપે છે? કવિતા, પ્લેટો વર્ણવે છે એ રીતે, આપણી લાગણીને બેકાબૂ બનાવે છે? કે આપણી સહાનુભૂતિના ક્ષેત્રને વિસ્તૃત કરી એ રીતે આપણા હૃદયને કેળવે છે? કવિતા રોગિષ્ઠ કે નિર્બળ મનોદશામાંથી જન્મતો ઊર્મિઓનો અનિયંત્રિત ધોધ છે કે એમાં કવિ કલ્પના દ્વારા પોતાની ઊર્મિઓનો તટસ્થ સાક્ષી બની એને રમણીય આકૃતિ આપે છે? (૫) પ્લેટોએ કવિતાની અસરનો વિચાર કર્યો ત્યારે અપક્વ ચંચળ યુવાન માનસને જ કેમ લક્ષમાં રાખ્યું? પરિપક્વ પ્રૌઢ નાગરિકના માનસ પરની અસરનો વિચાર કર્યો હોત તો કવિતા પર આવા આકરા પ્રહારો કરવાનો અવકાશ ઓછો રહ્યો હોત એવું નહીં? કે પછી પ્લેટોને મતે આ બાબતમાં કોઈ પ્રૌઢ પરિપક્વ નાગરિક જ નહોતો? (૬) ભલો માણસ દુઃખી અને દુષ્ટ માણસ સુખી થાય એવો અવળો ન્યાય કે લડાઈ-ઝઘડા શીખવાને માટે કવિતા પાસે જવાની જરાયે જરૂર નથી હોતી એ સાદી વાત પ્લેટોના મગજમાં કેમ ન આવી? કુટુંબમાંથી, આસપાસના વાતાવરણમાંથી, સમાજમાંથી અને કંઈક તો આપમેળે ઊઘડતી દૃષ્ટિમાંથી જો માણસને જીવનમૂલ્યોની સમજ ન આવે તો કવિતા તો શું, ફિલસૂફી પણ એને ભાગ્યે જ ઉગારી શકે એ વાત પણ એટલે જ પ્લેટોને ન સમજાઈને? પ્લેટોની સમજમાં જો આ આવ્યું હોત તો એમણે કવિતા પર અવળા બોધપાઠનો આરોપ ન મૂક્યો હોત, કદાચ કવિતા પર સદાચરણબોધનો ભાર પણ ન નાખ્યો હોત એમ ન માની શકાય? આ સવાલોનો જવાબ આપવા પ્લેટો આપણી પાસે નથી; પરંતુ પ્લેટો પછીનો સાહિત્યવિવેચનનો ઇતિહાસ તો છે. એ ઇતિહાસ વાંચતાં દેખાઈ આવે છે કે પ્લેટો પછી, પ્લેટોની જેમ કવિતાનો આત્યંતિક તિરસ્કાર કરનાર કોઈ વિવેચક થયો નથી. ઊલટાનું, કેટલાક એવા પ્લેટોવાદી વિવેચકો મળે છે જેઓ કવિતાને પ્લેટોની જેમ દોષિત ન ઠરાવતાં, એને નીતિ અને સત્યનાં પ્લેટોનાં ધોરણોને વશ વર્તતી બતાવી એનું ગૌરવ કરે છે. આ જ આપણા ઉપરના પ્રશ્નોનો જવાબ છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *

ઈશ્વર પોતાનું વેરભાવે સ્મરણ કરનારને પણ મોક્ષ બક્ષે છે; સાહિત્યનું જગત પણ, ભલે વેરભાવે પણ એનું મૂલગામી ચિંતન કરનાર પ્લેટોનો ઉપકાર કદી નહીં ભૂલે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૦

પાદટીપ:

  1. And the excellence or beauty or truth of every structure, animate or inanmiate, and of every action of man, is relative to the use for which nature or the artist has intended them.
  2. “આ પરિદૃશ્યમાન જગતમાં અમુક અલૌકિક બિંબોનાં માત્ર પ્રતિબિંબો જ આપણને ભાસે છે, અને એ પ્રતિબિંબોમાં પ્રત્યક્ષ થતાં બિંબોને સંગ્રહવાં, આલેખવાં અને વાચકના આત્મામાં ઉતારવાં એ કવિનું કાર્ય છે.” “કાવ્ય જેટલે અંશે જગતનું બલકે જગતની પાર રહેલા અક્ષરનું અનુકરણ કે સૂચન કરે, અને આભાસ દ્વારા પણ એનું દર્શન કરાવે, તેટલો એનો મહિમા.” – આનંદશંકર ધ્રુવ, કાવ્યતત્ત્વવિચાર, પૃ. ૩-૪ અને ૯૮.
  3. “Why is did not occure to Plato that painter, by painting the ideal object, could suggest the ideal from and thus make direct contact with reality in a way denied to ordinary perception is not easy to see  : presumably because he could not conceive of reality as being apprehensible through the senses at all.” – ડેવિડ ડેઇચિઝ, ક્રિટિકલ અપ્રોચિઝ ટુ લિટરેચર, પૃ. ૨૦.
  4. “વીરપુરુષોનાં પરાક્રમ, સ્વદેશવત્સલજનોએ વેઠેલાં સંકટ, ધાર્મિકજનોએ જુલમ સામે બતાવેલું ધૈર્ય એ સર્વ લાગણીથી ઉત્કટતાથી થયેલાં કૃત્ય છે.” “વિચાર કરનારને લાગણી થાય ત્યારે જ તે વિચારનો અમલ કરી શકે છે, અને ઊંચામાં ઊંચા વિચારો આપણને પરિચિત થયા પછી હંમેશ લાગણીના રૂપમાં ઘડાવા માંડે છે.” – રમણભાઈ નીલકંઠ, કવિતા અને સાહિત્ય, ૧, પૃ. ૩૦૮ અને ૩૨૧.

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted