પરમ સમીપે/૯૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯૮

મારી પ્રાર્થનાના શબ્દો જ્યારે શમી જાય
અને તેનો ધ્વનિ પણ આકાશમાં લય પામે
ત્યારે મારા ભાવનાં સ્પંદનો
હૃદયમાં ઝંકૃત થયા કરશે.
એ ભાવની લહરીઓ પણ
તમારે ચરણે ઢળી, ઊછળી, ઓસરી જાય
ત્યારે મારા પ્રાણના ગભીર તટે
તમારો સ્પર્શ રહેશે.
ભાવનાં આ વહેણ
ભાવસ્થૈર્યની પ્રશાંત ભૂમિમાં પહોંચે
ત્યારે તમારી સાથે
મારું અસ્તિત્વ ભાવ-ઐક્ય પામી રહેશે.