સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/જીવનમાં એની કવિતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મારાં મોટી બહેનનાં લગ્ન તેના બારમે વર્ષે થયાં. એ મારાથી બે વરસે મોટાં. લગ્ન પછી દોઢેક વરસે એ પિયર આવેલાં ત્યારે એ ઘણાં ગીતો ગાતાં. એક શિયાળાની રાતે ઓરડામાં ભાંડરડાંને એ હીંચકો નાખતાં’તાં ને હું બહાર પૂર્વાભિમુખ ઓસરીમાં હતો. ખુલ્લા અંધારા આકાશમાં તારાઓ જોતો’તો. ત્યારે બહેન ગાતાં’તાં તે શબ્દો મને ગમ્યા ને યાદ રહી ગયા : બ્રહ્માંડ બ્રહ્મે પાથર્યું સુખકુંજ સમ ઊંડું, ત્યાં એકલો ઊડું. જન, જગત, સૂર્ય, સુહાગી જ્યોત્સ્ના, વિશ્વ બહુ રૂડું, પણ એકલો ઊડું. અને પછી તો થોડા જ દિવસોમાં રોજ તેમની સાથે ગાઈ એ ગીત કંઠે કરી લીધું. આ ન્હાનાલાલ નામે કવિની કવિતા છે ને એ કવિ વિદ્યમાન છે, એવી કોઈ સમજણ ત્યારે હતી એવું યાદ આવતું નથી. એ ગીતની બધી જ પંક્તિઓ હું સમજું છું કે માણી શકું છું, એમ તો આજે પણ કહી શકતો નથી. પણ થોડીક પંક્તિઓની મધુરતા તો મને કાળક્રમે વધુ લાગી, એવું થયું છે. એ થયું ૧૯૨૯ના ડિસેમ્બરમાં, ગિરનારની ટેકરીઓમાં ઉઘાડે પગે એકલાં રખડતાં ગુફાઓ અને ખીણપ્રદેશો જોતાં તથા રાતે ખુલ્લા આકાશ તળે એ નિર્જનતામાં ગમે ત્યાં સૂવાનું થતું ત્યારે. અમારા કુટુંબમાં અંત્યાક્ષરી રમવાની રોજની ટેવ હતી એટલે સંસ્કૃત ને ગુજરાતી શ્લોકો, મુક્તકો, કવિતા અને ગીતો-ભજનોની કડીઓ કંઠસ્થ કરેલી, તેમાં ન્હાનાલાલની રચનાઓ પણ હતી. એ વખતે વાચનનો શોખ હતો. ઘરમાં કાકાએ વસાવેલ ‘વસંતોત્સવ’, ‘ઇન્દુકુમાર’, ‘ન્હાના ન્હાના રાસ’, ‘ગીતા’-‘મેઘદૂત’નાં ભાષાંતર વગેરે હતાં તે હું વાંચતો. મારું વય ન હતું એ વેળા હું ‘વસંતોત્સવ’ વાંચતો’તો, તેવામાં મારાં ફઈએ એક છોકરીના સંબંધમાં કહ્યું કે ‘કેવી ગુલછડી સમોવડી છે!’ અને ‘વસંતોત્સવ’ની પહેલી જ લીટી મને યાદ આવી, ત્યારે એ વાત સમજાઈ કે જે કંઈ વાંચીને જાણીએ તેને જીવનમાં જોતાં શીખવું જોઈએ. [‘ગ્રંથ’ માસિક : ૧૯૭૭]