વિભાવના/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય : વિભાવના

પ્રમોદકુમાર પટેલનો આ પહેલો વિવેચનસંગ્રહ ‘વિભાવના’(૧૯૭૭) એ, જયંત કોઠારીએ કહ્યું છે એમ, પ્રમોદભાઈના ‘વિદ્યાતપનું ફલ’ છે. વિવેચન-કાર્યનાં પહેલાં ૧૦ વર્ષમાં એમણે જે લખ્યું એમાંથી આઠ સુદીર્ઘ લેખો તથા હેન્રી મિલરના એક એવા જ લાંબા લેખનો અનુવાદ – એટલું તારવીને એમણે આ પુસ્તક કર્યું છે. આ બધા જ લેખો આમ તો સિદ્ધાન્ત-વિચારને કેન્દ્રમાં રાખે છે, પછી એ ‘વિવેચનની સંજ્ઞા’ વિશેનો તાત્ત્વિક લેખ હોય કે વર્તમાન ગુજરાતી વિવેચનમાં દેખાતાં ‘કેટલાંક નવીન વિચારવલણો’ને તપાસતો લેખ હોય; સુરેશ જોષીની કળાવિચારણાનાં મુખ્ય ગૃહીતોને મૂકી આપતો ને એની નિરીક્ષા કરતો લેખ હોય કે ભારતીય રસસિદ્ધાન્તનાં અર્થઘટનોને જોતો-તપાસતો લેખ હોય, પ્રમોદભાઈની ઝીણવટભરી અધ્યયનશીલતા એમાં દેખાયા વિના રહેશે નહીં. કોઈ વિવેચકના પહેલા જ વિવેચન પુસ્તકમાં સૂક્ષ્મ તાત્ત્વિક વિચારણા આપતા ને એની ઐતિહાસિક પીઠિકાને પણ તપાસતા દીર્ઘ લેખો હોય એ પોતે જ લેખકની મૂળભૂત વિદ્વત્‌વૃત્તિને દર્શાવે છે. પ્રમોદભાઈની વિવેચનભાષા પ્રાસાદિક છે એટલે એમાંથી પસાર થવાનું સૌને ગમશે.

– રમણ સોની