કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/સ્વધામ તરફ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૫. સ્વધામ તરફ

નશાના ધામ તરફ, મસ્તીના મુકામ તરફ,
નિગાહ છે કે રહે છે સદાય જામ તરફ.

કરી જો બંદગી સાહેબની અદબથી કરી,
વળ્યા ન હાથ અમારા કદી સલામ તરફ.

ઉઠાવો કોઈ જનાજો જવાન પ્યાસ તણો!
કે મીટ માંડી નથી જાતી ભગ્ન જામ તરફ.

હવે તો દૃષ્ટિ ફક્ત સાદગીને શોધે છે,
ગયો એ દોર કે રહેતી હતી દમામ તરફ.

એ સ્નેહનું જ રૂપાંતર છે એ ય પણ ક્યાંથી!
કે એમને હો તિરસ્કાર મારા નામ તરફ.

દીવાનગીમાં અજાયબ મળી ગઈ દૃષ્ટિ,
કે ફાટી આંખથી જોતા રહ્યા તમામ તરફ.

ગતિ ભણી જ નજર નોંધતા રહ્યા કાયમ,
કદી ગયા ન અમે ભૂલથી વિરામ તરફ.

જો હોય શ્રદ્ધા મુસાફરને પૂર્ણ મંઝિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,
અનોખી શાનથી ‘ઘાયલ' ગયો સ્વધામ તરફ.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ૨૯-૫-૧૯૫૯(આઠોં જામ ખુમારી, પૃ. ૩૦૨)