કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/ના હિન્દુ નીકળ્યા...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૪. ના હિન્દુ નીકળ્યા...

ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમના અરમાન નીકળ્યા,
જો નીકળ્યા તો સાથે લઈ જાન નીકળ્યા.

તારો ખુદા કે નીવડ્યાં બિન્દુ ય મોતીઓ,
મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર ક્લેશના મેદાન નીકળ્યા.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
'ઘાયલ' એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૨-૧૧-૧૯૬૭ (આઠોં જામ ખુમારી, પૃ. ૪૪૪)