કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/પ્રણયઘનની ગાઢી

Revision as of 07:24, 2 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૬. પ્રણયઘનની ગાઢી

પ્રણયઘનની ગાઢી છાયા છવાઈ હતી તદા
મુજ હૃદયના ભાવો જાણી. અજાણ બની રહી
તુજ નયનની વિદ્યુત્ શાને હતી વરસાવતી?
સુતનુ! તુજ એ વિદ્યુલ્લેખા, સુમંજુલ, નર્તને
મુજ પ્રણયને અર્પી દીધો સ્વીકાર કરે ન વા,
નહિ જ કદી યે પ્રેમોત્કંપો ઘટે અવમાનવા.
હૃદયદ્વય જો ના પ્રીછાયાં, હતી વિધિનિર્મિતિ;
સુતનુ, તુજને વ્હાલાં લાગે, તુફાન મને ય તે,
ઉરરમતની મસ્તી માંહે ભીરુ ન થવું ઘટે.
તુજ હૃદયને તેં પ્રીછ્યું ના, પ્રિછાવિયું એ સજા?
અરૂપ રૂપની ગાથા, ગાથા સનાતન પ્રેમની
પ્રગટ તુજથી થાવા માગે મનુષ્યની વાંછના.
વિધિવશ મળે સૌએ, સૌએ છૂટાં વિધિથી થવું;
જીવતર મહીં થોડું જીવી, ઘણું ન બગાડવું;
ગત વીસરવું, ભાવિ સાચું પુનઃ સરજાવવા.

૫/૬/૮-૧૦-૧૯૪૨ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૯૧)