એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર

From Ekatra Wiki
Revision as of 01:14, 19 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર

કવિતાના સામાન્ય શીર્ષક હેઠળ તેના વિભિન્ન પ્રકારોનો – પ્રત્યેક પ્રકારના તાત્ત્વિક ગુણો દર્શાવતાં – વિચાર કરવાનો મારો ઉપક્રમ છે. સત્કાવ્યને માટે આવશ્યક એવા વસ્તુઘડતરની, કવિતાનાં ઘટક અંગોની સંખ્યા અને તેમનાં લક્ષણોની, અને એ માર્ગે એવી તપાસમાં જે કંઈ આવી શકે તેવી બધી જ બાબતોની તપાસ હાથ ધરવાનો મારો વિચાર છે. તેથી, કુદરતી રીતે જ ક્રમમાં પહેલા આવતા સિદ્ધાન્તોથી આપણે શરૂઆત કરીએ.

મહાકાવ્ય અને કરુણિકા, વિનોદિકા, રૌદ્રકાવ્ય અને બંસી તેમજ વીણાનું ઘણુંખરું સંગીત, એમની સામાન્ય વિભાવનાની દૃષ્ટિએ, અનુકરણનાં સ્વરૂપો છે. તેઓ ત્રણ બાબતોમાં એકબીજાંથી જુદાં પડે છે – માધ્યમભિન્નતા, વિષયવસ્તુભિન્નતા અને રીતિ અથવા અનુકરણવિધિની ભિન્નતા.