અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ચમકે ચાંદની
ચમકે ચાંદની
ઉમાશંકર જોશી
<poem> આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે, કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.
કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે, એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.
આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે, ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.
ઘેરું ઘેરું ગાતો નિધિ ઊછળે મારે મંદિરિયે, એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.
આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે, વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.
ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે, આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.
૯-૪-૧૯૫૩ (સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697cf3422ccc33_65800213
ઉમાશંકર જોશી • આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: વૈશાલી ત્રિવેદી • આલ્બમ: સ્વરાભિષેક:5