હરિપ્રસાદ કાલિદાસ આચાર્ય

આચાર્ય હરિપ્રસાદ કાલિદાસ (૧૩-૧૧-૧૯૧૯): વાર્તાકાર. જન્મ ઝીંઝુવાડામાં. ૧૯૩૯માં વઢવાણથી મૅટ્રિક. ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટમાંથી બી.એ. ‘ફૂલછાબ'ના તંત્રીમંડળમાં સેવા. ૧૯૫૩માં એમ.એ. થયા પછી ગુજરાત રાજ્ય વેચાણવેરાના અધિકારી. ૧૯૭૭માં નિવૃત્તિ. ‘આધ્યાત્મિક તપસ્વી' નામના સામયિકનું સંપાદન. વસ્તુવૈવિધ્ય ધરાવતી પણ કથાવસ્તુને કલાત્મક ઓપ આપવામાં ઊણી ઊતરતી વાર્તાઓના સંગ્રહ ‘રેતીનાં દહેરાં’ (૧૯૬૧), ‘ફૂલ ને કાંટા’ તેમ જ ‘તેજરેખા' એમણે આપ્યા છે.