રામચન્દ્ર પટેલની કવિતા/શ્રી રામચન્દ્ર બ. પટેલની કવિતા
પ્રો. પ્રાગજીભાઈ ભામ્ભી
આઠમા દાયકાના અંત ભાગથી શરૂ કરીને આજ સુધીના આધુનિક અને અનુઆધુનિક સમયગાળાના કાઠું કાઢી ચૂકેલા કવિઓમાં શ્રી રામચન્દ્ર પટેલનો સમાવેશ અવશ્ય કરવો પડે. કવિ રાવજી પટેલના તો તેઓ સમકાલીન એવા કે બરોબર એકબીજાના સંપર્કમાં રહેતા. જો કે રાવજી કવિ તરીકે અલગ તો પડે. એની કવિતા અત્યંત વેધક. એણે આર્થિક, શારીરિક અને માનસિક રીતે ઘણું વેઠ્યું. એણે થોડા આયુષ્યમાં ઘણું જીવનવાસ્તવ જોઈ લીધેલું. જીવનતૃષાએ જ કાવ્યતૃષા પ્રગટાવી. એમાંથી કવિ રાવજી જ નીપજી શકે. રામચન્દ્રની કવિતામાં ક્યાંક ક્યાંક રાવજીની કાવ્યબાની ફરકી તો જાય છે. બંનેના કવનવિષયોમાં પણ ખાસ્સું સામ્ય. તો પણ રામચન્દ્ર એમની રીતે જ કવિ થતા ગયા ને થયા. એમને કવિત્વ અંગેનું પોષણ વતનની ભૂમિમાંથી જ મળ્યું. તેમનો જન્મ ઈ.સ. ૧૯૩૯ના ઓગસ્ટની પહેલી તારીખે મહેસાણા જિલ્લાના ઉમતા ગામે થયો હતો. ડી.ટી.સી. અને ડી.એમ.નું ચિત્રકળાનું શિક્ષણ ચી.ન. કલા વિદ્યાલય, અમદાવાદથી પ્રાપ્ત કરી પૂરાં ૩૮ વર્ષ લગી પોતાના ગામની શાળામાં જ ચિત્રશિક્ષકના વ્યવસાયમાં રહ્યા. ૧૯૯૬માં નિવૃત્ત થયા. વતન ઉમતા અને વિસનગર આસપાસનો વિસ્તાર એ જ તેમની અનુભવભૂમિ. ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે એક દિવસ શિક્ષકે હાથીનું ચિત્ર દોરી લાવવાનું કહ્યું. તેમણે એવું દોરી દેખાડ્યું કે તે જોઈને શિક્ષક તો રીઝ્યા, સાથે સાથે ત્યારથી તેમણે પોતાનેય ઓળખ્યા. એથી તો ચિત્રશિક્ષકની નોકરી પામ્યા. કદાચ વિદ્યાર્થીઓના ચિત્રશિક્ષણ અર્થે થઈને પણ ઘર, ખડકી, ગામ, ખેતી, જમીન, સીમ, વગડો અને વતનની પ્રકૃતિનું ઊંડું નિરીક્ષણ કરવાની, તેમાં આરપાર જવાની, એમાં ઊંડો રસ લેવાની તેમનામાં આદત કેળવાઈ હશે. તેમાંથી તેમની સૌંદર્યદૃષ્ટિ પ્રગટી હશે. એ જમા અનુભૂતિપૂંજી તેમના જીવનવાસ્તવ, ઊર્મિ અને ભાવ-ભાવનાનું જે શબ્દચિત્રાંકન જોવા મળે છે, અમૂર્ત વિષયનું શબ્દોમાં જે મૂર્તિકરણ દેખાય છે તે ઘણું કરીને તો વતનના જીવનના અનુભવ અને નિરીક્ષણને પ્રતાપે. વતનની જમીન પરનું જીવન એટલે માનવ ઉપરાંત જીવજંતુ, પશુપંખી અને વનેચર સહિતનું નદી, તળાવ, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા, વાદળ, વીજળી, વરસાદ, પવન, ટાઢતાપ એ પ્રકૃતિતત્ત્વોનું ખેંચાણ પણ જબરું. એ બધાંના ઋતુઋતુનાં ફેરફારો સહિત. શ્રી રામચન્દ્ર પટેલની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને નિબંધોના આલેખનમાં પણ એમનું કલાવિત્ત દેખાય છે. એમાં પણ એમના કવિત્વ પાસાનો ફાળો ખરો જ. ‘મારી અનાગસી ઋતુ’ (પ્ર.આ. ૧૯૭૭, દ્વિ.આ. ૨૦૦૫), ‘પદ્મનિદ્રા’ (પ્ર.આ. ૨૦૦૧), ‘સિમાન્તરા’ (પ્ર.આ. ૨૦૧૩), ‘માટીનું નૃત્ય' (પ્ર.આ. ૨૦૧૮) અને ‘રુદનધન’ (પ્ર.આ. ૨૦૨૦) એ પાંચ સંગ્રહોનાં થઈને રામચન્દ્રનાં કાવ્યોની સંખ્યા ૪૨૧ થાય છે. અને પાછું તેમનું કાવ્યસર્જન ચાલુ તો રહ્યું જ છે. છઠ્ઠો સંગ્રહ ‘નક્ષત્રવાસ’ આવવામાં છે. આ બધાં કાવ્યોમાંથી ૫૧ કાવ્યો તારવવાં એ સહેલું તો નહોતું. એટલી ચોખવટ કરવાની કે દરેક કાવ્યસંગ્રહમાં જે વૈિવધ્ય રહેલું છે તેના પ્રતિનિધિત્વને નથી જાળવી શકાયું અહીં તો પાંચે કાવ્યોસંગ્રહોના કાવ્યોમાંથી જે કંઈક વિશેષ કાવ્યગુણવાળાં લાગ્યાં તે એકાવન (૫૧) કાવ્યોને તારવીને મૂક્યાં છે. કવિનાં લગભગ બધાં કાવ્યોમાંથી પસાર થતાં સૉનેટ, અન્ય છાંદસ કાવ્યો, અછાંદસ કાવ્યો, પ્રલંબ લયવાળાં કાવ્યો, એ જ કોટિમાં આવતાં ગદ્યકાવ્યો, થોડાં ગીતો, થોડાંક ગઝલપ્રયોગો અને સ્વલ્પ મુક્તનામી રચનાઓ એમ વિવિધ સ્વરૂપની કાવ્યપૂંજી જોવા મળે છે. પ્રથમ કાવ્યસંગ્રહ ‘મારી અનાગસી ઋતુ’ વાંચવાથી જ પામી શકાય છે કે તેમની કાવ્યસૃષ્ટિમાં શિરમોડ છે તેમની સૉનેટ રચનાઓ. એમાંયે શિખરિણીમાં ઊતરેલાં સૉનેટો અહીં અને પછીના કાવ્યસંગ્રહોમાંયે સૉનેટરચના કવિને વિશેષ ફાવી છે અને ફળી પણ છે. જો કે બીજાં શિખરિણીમાં અને અન્ય છંદોમાં રચાયેલાં કાવ્યો અને અછાંદસ કાવ્યોમાં પણ કવિની સ્તરીય કૃતિઓ છે. પરંતુ સૉનેટ પ્રકારની તુલનાએ એવાં કાવ્યોની સંખ્યા ઓછી છે. આપણે એમનાં સૉનેટોને જોઈએ. ‘તમે તો’ સૉનેટની આ અંતિમ પંક્તિઓ જુઓ -
હવે એકાન્તોમાં નીલમ નભ આંખે ભરી ફરું;
અને વેળુશા આ સમય પર વંટોળ ચીતરું [1]
અંતની આ બે પંક્તિઓ આખા સૉનેટને અજવાળી દે છે. એક બીજી સૉનેટ-રચના જોઈએ. કવિએ કૂવાની કલ્પના કરી છે. કૂવામાં ઊંડે ઊંડે પ્રિયતમા જળ બનીને વસી છે. જ્યારે કાવ્યનાયક કૂવાનો કાંઠો બનીને ભેંકાર તપ તપી રહે છે. નાયક અને નાયિકા વચ્ચે છેટું કેટલું બધું છે? છતાં નાયકમાં એક આશા ઊગે છે એટલે તે નાયિકાને સંબોધીને કહે છે :
થઈ કોઈનો હું ઘટ, ઊતરી આવું તવ કને,
સમાઈ જાશો શું સહજ ઊછળી ઓળખી મને? [2]
અહીં પણ પ્રસ્તુત પંક્તિદ્વય તેમના ઉપરની બાર પંક્તિઓને અને સમગ્ર સૉનેટને પોતાના ગુણબળે દીપાવી રહે છે. અને, એક સૉનેટરચનાની આ ત્રણ જ પંક્તિઓ ઉતારીશું :
વલોણું, સાંબેલું, જલસભર બેડું વળગણી,
તવી, ચૂલો, ઘંટી, વળી દહીંની દોણી નિસરણી.
બધાંની વચ્ચે તું ઊજળું ઊજળું છાપરું થઈ [3]
ત્રણ પંક્તિઓમાં કવિ ઘરવપરાશની કેટલીક વસ્તુઓની યાદી જ આપે છે. પણ તેમને માટે જે સંદર્ભ રચે છે તે તો છાપરાની જેમ તે સૉનેટ ઉજળાશ અર્પી રહે છે. શિખરિણીના લયની પણ અહીં ઊજળી ભૂમિકા રહી છે. કવિના દ્વિતીય કાવ્યસંગ્રહ ‘પદ્મિનિદ્રા’નાં ‘અજાણ્યા પ્રદેશમાં-પરોઢ’, ‘નિભાડો' અને ‘ખડકી’ ત્રણે સૉનેટો સુંદર બની આવ્યાં છે. કવિકલ્પના, છંદની પ્રૌઢિ અને આકૃતિનિર્માણને લીધે આ ત્રણ સૉનેટોમાં ‘અજાણ્યા પ્રદેશમાં - પરોઢે’ પ્રથમ ક્રમે આવે છે. બાકીનાં બે સૉનેટો ‘નિભાડો’ અને ‘ખડકી’ કાવ્યબળે શોભે છે. આ બીજા કાવ્યસંગ્રહમાં સૉનેટ રચના પરત્વે કવિ એક કદમ આગળ વધે છે. ત્રીજા કાવ્યસંગ્રહ ‘સીમાન્તરા’માં સૉનેટ ઘૂંટાય છે. ‘અંધારું’ અને ‘ભશ્મ’ની વાત કરીએ તો અંધારુંમાં અંધારાનું મૂર્તિકરણ સ્પર્શક્ષમ બની આવ્યું છે. અહીં અંધારું અભાવો અને દુઃખોનું પ્રતીક બને છે. ‘ભશ્મ’માં ટૂંકા કદની ચૌદ પંક્તિઓ છે. આરંભ અંધારાથી જ થાય છે. ચૌટે ઘૂમતું અંધારું શ્વાન, અઘોરી, તુરંગ, નોળિયો, ભુજંગ, ઉલૂક, કુર્કુટ અને મસાણા સાથે સંબંધો છે મૃત્યુનું પ્રભાવક વાતાવરણ ખડું કરે છે. બંને સૉનેટોમાં કાવ્યબાની તો સાદા શબ્દો જ બને છે. સૉનેટ ઉપાસક કવિ રામચન્દ્ર પટેલ ચતુર્થ સંગ્રહ ‘માટીનું નૃત્ય’માં કાવ્યત્વે દીપતાં એકધારાં સારી સંખ્યાનાં સૉનેટો આપે છે એમાં માટીનાં પણ છે. અહીં ‘મોર’ વિશે થોડી વાત કરવી છે. એનાં જાનકી ને રામનો ઉલ્લેખ આવે છે. એમનો એક પ્રસંગ કવિએ આલેખ્યો છે. સીતાની તરસ છિપાવવા નપાણિયા મુલકમાં મોર જ પાણી લાવવાનું કારણ બને છે. મોર વરદાન પણ પામે છે. પ્રસ્તુત કૃતિની એક પંક્તિ ‘લાગી તૃષા જળ મળ્યું નહિ જાનકીને’[4] પરથી ‘રામૈયા રામ’ શીર્ષકવાળું લોકગીત યાદ આવી જાય છે –
સીતાને તરસયા લાગી રે, રામૈયા રામ!
ક્યાંય ન દીઠાં નરમળ નીર રે, રામૈયા રામ!
પ્રસ્તુત સૉનેટના આલેખન સમયે આ કે આવું કોઈ લોકગીત કવિના મનમાં ફરક્યું હશે? કદાચ. કવિનો અત્યાર પૂરતો છેલ્લો ગણાય એ પાંચમો કાવ્યસંગ્રહ ‘રુદનધન’ અગાઉના ચાર કાવ્યસંગ્રહોની સંગ્રહદીઠ કાવ્યસંખ્યા કરતાં થોડાં વધારે કાવ્યો લઈને આવ્યો છે. અહીં તો સૉનેટની આખી ફસલ આવી છે.. કવિનાં પ્રાપ્ત કાવ્યોમાંથી કાવ્યગુણના ધોરણે એકાવન કાવ્યો તારવ્યાં તો એમાંયે મોટી સંખ્યા તો સૉનેટની જ આવી. કવિનાં સઘળાં કાવ્યોમાં સૉનેટો વધારે. પસંદ કરેલાં એકાવન કાવ્યોમાં સૉનેટ વધારે અને બાકી રહ્યાં તે કાવ્યોમાંયે સૉનેટો જ વધુ. ‘રુદનધન’ કાવ્યસંગ્રહની ‘કુદનક્રુદન’ નામે પ્રસ્તાવનામાં કવિ લખે છે : “હૈયામાં કશુંક પીડવા માંડ્યું હતું. જે આંખે દેખાતાં નથી એ અશ્રુજલ અંતરસ્થ છે અંદર ભરેલું રુદનદર્દ સતત બળ્યા કરેલું તેને મારું રુદનધન ગણું છું. હું કવિ, ખેતરવંશી, ખેતરમાં ઉગેલ આમ્રતરુ શો હંમેશ ધખ્યા કર્યો છું.”[5]
કવિ? કબૂલ. ખેતરવંશી? માન્યું અને કવિ તમે ખેતરમાં ઉગેલ આમ્રતરુ શા છો એ પણ માન્યું. પણ તમારી દર્દ-વેદનાની વાત સંગ્રહમાં વાચકોને તો ખાસ આડે આવતી નથી. દર્દ હશે, પીડા હશે, તમે જે પ્રણય સેવ્યો, મિલન પ્રાપ્તિ માટે વિરહવગડા વેઠ્યા પણ તેનું ઔષધ તો તમારી પાસે જ છે. માન્યું કે તમે તડકો ધખ્યા તે કંઈ આ પાંચમા કાવ્યસંગ્રહમાં જ ઊતર્યું નથી. પહેલાં જ સંગ્રહથી એની માંડણી તો થઈ ચૂકી હતી. એ સિવાય ‘અને વેળુશા આ સમય પર વંટોળ ચીતરું’ એ પંક્તિ પ્રગટે જ કંઈ રીતે? પીડાને આલેખી હોય તેવી પંક્તિઓ બીજા સંગ્રહોમાંથી શોધી બતાવવી મુશ્કેલ નથી. મને તો લાગ્યું છે કે કવિનો આ પાંચમો ‘રુદનધન’ કાવ્યસંગ્રહ જાણે કે અગાઉના ઉપસંહાર રૂપે આવ્યો છે.
પણ પહેલાં આપણે રુદનધનની સૉનેટકવિતાની વાત કરીએ. એક બાબત ખાસ તરી આવે છે. અહીં જે સૉનેટો છે તેમાં શિખરિણીનાં ઓછાં છે. જે કે કેટલાંક છે તે હૃદયસ્પર્શી છે. શિખરિણી છંદમાં ઊતરેલાં ‘સગુ’ . [6]અને ‘મળે જો’ . [7] ની વાત કરીએ તો એમાં કવિ પોતાના મરણને અંતે પોતાની શી ગતિ થાય છે અને પોતે શી ગતિ ઇચ્છે છે તેનું આલેખન કરે છે. વાત કવિના પોતાના મરણની હોવા છતાં એ કાવ્યોમાં તેમના પોતાના દર્દ કે પીડાનો તો ઓછાયો સરખો નથી!
કવિએ ચાહીને લખેલાં અછાંદસ, પ્રલંબલય અને ગદ્યકાવ્યોની વાત પણ કરવી જોઈએ. એ બધાંની ભેગી જ વાત કરીશું. ઉદાહરણ લેખે એક ગદ્યકાવ્યની વાત. તેનું શીર્ષક છે : ‘મારા વડવાઓએ બાંધેલા’[8] આરંભે અંધકારના કાળા આરસને કોરવા બેસી જવાની કવિકલ્પના રહસ્યસભર છે. વાચક આખી રચનામાં પેસે તો નીકળી ન શકે તેવી એ કાવ્યની ગદ્ય-આલેખના છે. આરંભે વાક્યની શરૂઆત થાય પછી તો, ને, ત્યાં, ત્યારે જેવા અવયવોથી ઉપવાક્યઝૂમખાં સંધાતા વાક્યનો લય પ્રલંબ બને છે. ઉત્તરાર્ધમાં તે પ્રલંબ વાક્યલય વાર્તામાં છળે છે અને પછી અંતનો વાક્યાંશ આરંભ સાથે સંધાઈ જાય છે. આ પ્રકારે જે ગદ્યલય સર્જાય છે તે આસ્વાદ્ય બને છે. રૂપ, સ્પર્શ, ગંધની કલ્પન સેરો કૃતિને રહસ્યગર્ભી ઝાંય અર્પી રહે છે.
અછાંદસ કાવ્ય પ્રલંબલયનું કાવ્ય અને તેમ ગદ્યકાવ્ય પણ કવિની સર્જકતાનું એક મહત્ત્વનું પાસું છે.
કવિએ ગીતો તો ઓછાં લખ્યાં છે પણ શરૂઆત થઈ ગઈ છે. હજી એનો ફાલ આવવાનો બાકી છે. ગેયત્વે અને કાવ્યત્વે પૂરું ગીતત્વ સાધતાં ગીતો કવિ આપી શક્યા છે. ‘આંગણે’ [9], ‘એક શોક પ્રશસ્તિ' [10] કે ‘ગાલ્લુ’ [11] કવિના નોંધપાત્ર ગીતો છે. એક ગઝલ પ્રયોગ ‘તો જાણું’ [12] પણ સારો છે.
એક વાત તો ચોક્કસ કે ઠીક ઠીક સંખ્યાનાં કવિનાં કાવ્યો પૈકી એક પણ કૃતિને આપણે ભાગ્યે જ નિષ્ફળ પ્રયોગ ગણી શકીએ. અછાંદસ કાવ્યોમાં કવિત્વ સાધવા પ્રત્યે પણ કવિ પૂરતા ગંભીર રહ્યા છે. શિખરિણી છાલકોવાળું કાવ્ય ‘મને કોઈ’ [13] એક વિશિષ્ટ કાવ્યપ્રયોગ છે જેમાં પવનને વાચા ફૂટી છે અને તે પોતાને માટે ઘર માગે છે. એ કલ્પના જ સ્પર્શી જાય તેવી છે.
સમગ્રતાએ શ્રી રામચન્દ્ર પટેલનું અત્યાર સુધીનું કવિત્ય છાપ પાડે છે તે એ છે કે કૃષિજીવન ઉપરાંત ગ્રામજીવનનો, ગ્રામઘરનો, રોજિંદો એકદમ પરિચિત વ્યવહાર તેમની કાવ્યસામગ્રી બને છે અને તેમાંથી તેઓ કાવ્ય પ્રગટાવે છે. જેને ગામઠી જ કહી શકીએ તેવી ઉત્તર ગુજરાતની ગામડાની બોલી કવિની પ્રેરણા અને તેમના કસબને લીધે કાવ્યભાષાનું ગજું ધારણ કરી શકે છે. લગભગ અડધી સદીની તેની કવિત્વ સાધના તપની કક્ષાએ ચાલુ રહી છે. ઉમાશંકર કહેતા એમ ‘જે દેવ થાપ્યા એ થાપ્યા’ આધુનિક સંવેદના પર કાવ્ય રચવા માટેય તેમણે પોતાનું મેદાન છોડ્યું નથી. ઊંડા અને સૂક્ષ્મ નિરીક્ષણો, લયની વધતી રહેલી સૂઝે અને આત્મસાત્ થયેલ છંદકૌશલ્યે કરીને તેમણે કાવ્યત્વને સાધવા તપસ્યા જારી રાખી છે. માનવજીવનનું વાસ્તવ, ભાવ અને ચિંતનને કાવ્યરૂપે આલેખવા ભાષા અને છંદલયનું વિનિયોજન કઈ રીતે પરિણામકારી બને એ કળા એમને માટે શક્ય બનતી ગઈ છે. એ પ્રક્રિયા ચાલુ જ છે. હજુ બધી પ્રાપ્તિ નથી થઈ. જીવનનો બાકી રહેલો સમયપટ એમને માટે કવિત્વનાં ઉન્નત સ્થાનો સર કરવા નિર્ણાયક બને એ ભાવના સાથે કવિને ઘણીઘણી શુભેચ્છાઓ! દીર્ઘાયુષ્ય સહિતની.
- ↑ ‘તમે તો’ પૃષ્ઠ : ૨૮, સંગ્રહ : ‘મારી અનાગસી ઋતુ’ (દ્વિ.આ. ૨૦૦૫)
- ↑ 1. ‘કોઈનો હું’ પૃષ્ઠ : ૩૩, કાવ્યસંગ્રહ - ‘મારી અનાગસી ઋતુ’ (દ્વિ.આ. ૨૦૦૫)
- ↑ 2. ‘હવે તું...’ પૃષ્ઠ : ૩૬, કાવ્યસંગ્રહ એ જ
- ↑ ‘મોર’ પૃષ્ઠ : ૮૨, કાવ્યસંગ્રહ ‘માટીનું’ નૃત્ય’ (પ્ર.આ. ૨૦૧૮)
- ↑ ‘રુદન-ક્રંદન' કવિના કાવ્યસંગ્રહ રુદન-ધનની પ્રસ્તાવના પૃ. ૦૫-૦૬
- ↑ ‘સગું’ પૃ. ૧૦૭ કાવ્યસંગ્રહ ‘રુદનધન’ પ્ર.આ. ૨૦૨૦
- ↑ ‘મળે જો’ પૃ. ૧૧૦, કાવ્યસંગ્રહ એ જ
- ↑ ‘મારા વડવાઓએ બાંધેલા’ ગદ્યકાવ્ય પૃ. ૯૫-૯૬ કાવ્યસંગ્રહ ‘મારી અનાગસી ઋતુ’ (દ્વિ.આ.૨૦૦૫)
- ↑ ‘આંગણે’ પૃ. ૭૫ કાવ્યસંગ્રહ સીમાન્તર (પ્ર.આ.૨૦૧૩)
- ↑ ‘એક શોક પ્રશસ્તિ’ પૃ. ૯૬ કાવ્યસંગ્રહ એજ
- ↑ ‘ગાલ્લુ’ (સ્વર્ગ જતા જીવની સ્વગતોક્તિ) પૃ. ૬૨ કાવ્યસંગ્રહઃ ‘પદ્મનિદ્રા’ (પ્ર.આ. ૨૦૦૧)
- ↑ ‘તો જાણું’ (ગઝલ) પૃ. ૧૦૪ કાવ્યસંગ્રહ ‘માટીનું નૃત્ય’ (પ્ર.આ.૨૦૧૮)
- ↑ ‘મને કોઈ’ પૃ. ૬૮ કાવ્યસંગ્રહ ‘મારી અનાગસી ઋતુ’ (દ્વિ.આ.૨૦૦૫)
Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted