મંગલમ્/નૈયા ઝુકાવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નૈયા ઝુકાવી

નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના.

સ્વારથનું સંગીત ચારે કોર બાજે,
કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે;
તનનો તંબૂરો જોજે બેસૂરો થાય ના…ઝાંખો…

પાપ ને પુણ્યના ભેદ રે ભુલાતા,
રાગ ને દ્વેષ આજે ઘટઘટ ઘુંટાતા;
જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના…ઝાંખો…

શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે,
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં પૂરજે;
મનના મંદિરિયામાં અંધારું થાય ના…ઝાંખો…