અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/મનમેળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મનમેળ

બાલમુકુન્દ દવે

         કેવા રે મળેલા મનના મેળ?
હો રુદિયાના રાજા! કેવા રે મળેલા મનના મેળ?
         ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,
         જેવી માંડવે વીંટાય નાગરવેલ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
         તુંબું ને જંતરની વાણી
         કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
         ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
         જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
                  સંગનો ઉમંગ માણી,
                  જિન્દગીને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
         જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
         જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!

(કુન્તલ, ૧૯૯૨, પૃ. ૭)



Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697ce00132e826_15512132


બાલમુકુન્દ દવે • કેવા રે મળેલા મનના મેળ? • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: હર્ષદા રાવળ અને જનાર્દન રાવળ


Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697ce00137d8d3_65498133


બાલમુકુન્દ દવે • કેવા રે મળેલા મનના મેળ? • સ્વરનિયોજન: રાસબિહારી દેસાઇ • સ્વર: હિમાલી વ્યાસ નાયક અને સોનિક સુથાર