ભજનરસ/ચંદની રાત કેસરિયા તારા
ચંદની રાત કેસરિયા તારા રે,
પોઠી ભરવા ચાલ્યા વણઝારા રે.
વણઝારે આડત કીધી રે,
કાયા નગરી ઈજારે લીધી રે.
દાણી, દાણ ઘટે તે લેજો રે,
પોઠી હમારા જાવા દેજો રે.
જેવા વાડીના કુંમલા મરવા રે,
તેવા પોઠી હમારે ભરવા રે.
ભલે મલિયા, ભલે મલિયા રે,
તારા ગુણ ન જાયે કલિયા રે.
મહેતા નરસૈંયાના સ્વામી રે,
સરવે ગોપી આનંદ પામી રે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ચંદની રાત
ચાંદની ખીલી છે. પણ પોતાના ધવલ પ્રકાશમાં બધું એકાકાર કરી મૂકે એટલી બધી ઘટ્ટ નથી, તારાઓને પણ પ્રકાશવા દે એવી આછી છે. તે વિશ્વભવનને ધોળી નથી દેતી, કેસરનાં રંગછાંટણાં રહેવા દે છે. દૂધમાં જાણે કેસરના તંતુ તરતા હોય એમ ચાંદનીમાં તારાઓ ચમકે છે. માત્ર એકાકાર બ્રહ્મનો અનુભવ અહીં નથી, બ્રહ્મની લીલાનો વિસ્તાર છે. આનંદના ક્ષેત્રમાં રંગના નેજા ફરકાવતા યાત્રીઓ જાય છે, એ જોઈ શું યાદ આવે?
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> પોઠી ભરવા ચાલ્યા વણઝારા
આ વિરાટ બ્રહ્માંડોમાં અસંખ્ય જીવો કર્મની ખેપે નીકળી પડ્યા છે. કાયા ધરીને સહુ કોઈ સાટાંદોઢાં કરવા મંડી પડે છે. પણ અમૂલખ વસ્તુ કોના હાથમાં આવે છે? સરવણ કાપડી બોલ્યા છે :
કાયાનગરમાં હાટડાં રે જી,
વસ્તુ ભરી અમૂલ્ય, મોરા વીરા રે.
સુગરા નર હોય તે સાવે જી રે,
નુગરા જાય નરાશ, મોરા વીરા રે,
દલ ખોજીને કરો દીવડો હો જી.
આપણા સંતોને સોદાગરનું, વણઝારનું રૂપક ઘણું પ્રિય છે. નરસિંહે પણ સંતો, હમે રે વેવારિયા શ્રી રામનામના' કહી પેઢી ખોલી છે. આ રામનામના, સતનામના વેપારી ખરચૈ ન ખૂટે, વા કો ચોર ન લૂટે' એવી દોલતને ગાંઠે બાંધે છે ને જગતની બજારમાંથી જીતનો ડંકો બજાવી ઊપડી જાય છે. ધરમદાસનું પદ છે :
હમ સતનામ કે ઔપારી,
કોઉ કોઉ લાદે તાંબા પીતલ, કોઉ કોઉ લોગ સુપારી,
હમને લાદા નામ ધની કા, પૂરન ખેપ હમારી.
સંતોની પૂરન ખેપ' છે. નરસિંહે જ કહ્યું છે તેમ ‘લાખ વિનાનાં લેખાં નહિ ને પાર વિનાની પુંજી' રળવાનું કામ તેમનું. પણ ચાવી નગદ કમાણી કરવાનો કીમિયો શું? નરસિંહ આ પદમાં એની ચાવી આપે છે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> વણઝારે આડત કીધી