ભજનરસ/સાંભળ સહિયર
સાંભળ સહિયર, સુરત ધરીને આજ અનોપમ દીઠો રે,
જે દીઠો તે જોવા સરખો અમૃત અતિ મીઠો રે.-
દૃષ્ટ ન આવે, નિગમ જ ગાવે, વાણીરહિત વિચારો રે,
સત્ય અનંત જે કહાવે તે નવધાથી ન્યારો રે.-
નવધામાં તો નહિ રે નીવેડો, દશધામાં દેખાશે રે,
અચવો રસ છે એની પાસે તે પ્રેમીજનને પાશે રે.-
અદેત બ્રહ્મ અનોપમ લીલા, અસંખ્ય ફુગનો એવો રે,
જપ તપ જોગ જગન મુનિ દુર્લભ, માને તેવો મેવો રે.-
જ્યાંથી જ્યમ છે તેમનો ત્યમ છે, વધે ઘટે નહિ વહાલો રે,
આવે ન જાવે, જાવે ન આવે, નહિ ભર્યો, નહિ ઠાલો રે.-
પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, અપરમ ગત છે એની રે,
તે પર ક્ષર અક્ષરની ઉપર, તમો જોજો ચિત્તમાં ચેતી રે.-
હું તું મટશે ને દુગ્ધા ટળશે, નિરભે થાશો નીરખી રે,
ભલે મળ્યો ન૨સીંચો સ્વામી, હું હૈડામાં હરખી રે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> સાંભળ સહિયર
આપણે ત્યાં કહે છે કે લાખ રૂપિયા મૂકવાનું ઠેકાણું મળે છે પણ એક વાત કરવાનું ઠેકાણું મળતું નથી. અને એ વાત ડાડા મેકરણ કહે તેમ ‘ગૂઢારથજી ગાલિયું' - અંતરતમ, ગૂઢ અનુભવની હોય ત્યારે હૈયું ક્યાં જઈ ખોલવું? નરસિંહનું ગોપીહૃદય એટલે તો સરખી સાહેલીના કાનમાં પરમ પ્રિયતમનાં દર્શનની વાત કહે છે. અને પહેલેથી કહી રાખે છે કે આ વાત માત્ર કાન માંડીને સાંભળવા જેવી જ નથી. પણ સુરત ધરીને’ પૂરી તલ્લીનતાથી હ્રદયમાં ઝીલવા જેવી છે. શી છે આ વાત? નરસિંહ કહે છે : સખી, સાંભળ, આજે મેં તે અનુપમ પુરુષને ... નિહાળ્યો. ના, એનું નામ નથી કહેવું, એના રૂપનું વર્ણન નથી કરતું, એના ગુણને નથી ગાવા. એનાથી શું વળે? હું તો કહું કે તું પોતે જ એને પળભર નજરે નિહાળને! આ કાંઈ વાંચી સાંભળીને ગાઈ બજાવીને બેસી હેવા જેવો નથી. આ સગી આંખે જોવા જેવો છે. મેં જે દીઠો તે દીઠા કૅવો છે. તું એને જો, નયનોથી એનો આસ્વાદ લે. એ તો અમૃત કરતાં પણ અતિ મીઠો છે. બ્રહ્મના અનુભવને જ્ઞાનીઓ અમૃત કહે છે. બ્રહોવ ઇદમ્ અમૃતમ્' પણ બ્રહ્મ જ્યારે પ્રિયતમ બનીને આંગણે ઊભો રહે છે ત્યારે તેની મીઠપ અમૃત કરતાંયે ચડી જાય છે.