અનુબોધ/જટાયુ (સિતાંશુ યશશ્ચંદ્ર)

Revision as of 15:15, 16 April 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘જટાયું’ : સિતાંશુ યશશ્ચન્દ્ર

તરુણ પેઢીના જાણીતા કવિ શ્રી સિતાંશુનો આ બીજો કાવ્યસંચય છે. એમાં નાનીમોટી ચોવીસ કાવ્યરચનાઓ તેમને રજૂ કરી છે. ૧૯૭૪માં તેમનો પહેલો સંગ્રહ ‘ઓડિસ્યૂસનું હલેસું’ પ્રગટ થયેલો, અને એ સંગ્રહમાં જ એક તેજસ્વી અને વિદગ્ધ રીતિના કવિ તરીકેની તેમની વિશિષ્ટ છાપ ઊપસી આવી હતી. હવે આ સંગ્રહ જોતાં તેમને વિશેની એ છાપ પ્રબળ બને છે. આમ જુઓ તો, કવિ તરીકેની તેમની વિશેષ નિસ્બત, આપણા અનેક તરુણ કવિઓની જેમ, આધુનિક માનવપરિસ્થિતિ સાથે રહી છે. અસ્તિત્વપરક વિચ્છિન્નતા, વિષમતા અને વંધ્યતાના ભાવો તેમને વારંવાર પ્રેરતા રહ્યા છે. પણ સિતાંશુની લાક્ષણિક કવિવૃત્તિ ભાષા અને લયની સાથે ક્રીડા કરવામાં તેમ અવનવાં કાવ્યરૂપો નિપજાવવામાં છતી થઈ છે; સભાનપણે અવનવી રીતિ ખેડતા જવામાં તેમની એટલી જ આસક્તિ રહી છે. ‘ઓડિસ્યૂસનું હલેસું’માં – તેમ ‘જટાયુ’માં – એ રીતે, આકાર લય રીતિ આદિનું વૈવિધ્ય કોઈ પણ વાચકનું ધ્યાન ખેંચ્યા વિના નહિ રહે. જો કે, આગલા સંગ્રહની રચનાઓમાં જે કંઈ કાવ્યસમૃદ્ધિ કે સિદ્ધિ પ્રાપ્ત થયાં હતાં, તે આ સંગ્રહમાં નથી. સંગ્રહના અંત ભાગમાં મૂકેલી ‘મોહેં-જો-દડો’ શીર્ષકની દીર્ઘકૃતિ તેમની એક મહત્ત્વાકાંક્ષી કૃતિ જણાય છે. માનવસંયોગોની વિષમતા અને વંધ્યતાની સંપ્રજ્ઞતાને આગવી રીતે વર્ણવવાનો તેમનો એમાં પ્રયત્ન છે. વર્ણ્યવસ્તુના વર્ણનમાં સુર્‌રિયલ ભાવસંદર્ભોને સાંદળીને, તેમ ફેન્ટસી કે એબ્સર્ડનાં તત્ત્વોને આત્મગત કરીને, તેઓ ચાલવા મથ્યા છે. જો કે ભિન્નભિન્ન ખંડકોમાં વર્ણ્યપ્રસંગને અનુરૂપ ભાષાનાં વિભિન્ન સ્તરો ખેડવાનો સંપ્રજ્ઞ પ્રયત્ન એમાં જોઈ શકાશે. આ સંદર્ભ જુઓ :

કે
ન ગીત-ખખ-ન તેજ-ખખ-ન ગંધ-ખખ-ન સ્વાદ-ખખ
ઘરડું ઘરડું ઘરડું ખખ
થઈ ગયું જીર્ણ વૃદ્ધ ક્ષીણ જણે જણ?
વૃદ્ધ, યુવાવૃદ્ધ, બાલવૃદ્ધ, ગર્ભવૃદ્ધ, સંભોગવૃદ્ધ, વૃદ્ધ વૃદ્ધ?
ઘરડું ખખ.
પોતે જ પોતાનું વખ

– બીજો લાક્ષણિક સંદર્ભ :

ના, હું નાગર છું. પણ ક્યાં છે મારું નગર?
અડકું છું ને ખરી પડે છે આ મુંબઈની દીવાલો પરથી પોપડી
તો થાક્યો અઢેલું છું કોન્ક્રિટની ઇમારતાને ને ખૂલી જાય છે
તળેથી હડપ્પાના મેયરની
ઑફિસનું લપટું બારણું...
....ઊંડાં ઊંડાં મૂળ નાંખી પડેલો વંશવેલો
મોએં-જો-દડોની લીલી લીલી નદીઓનાં અસહ્ય વમળોમાં
મૂળ નાખી
ચશ ચશ પય પીતો
એક છલંગે નદી ઓળંગતા ચેતક અશ્વના ભાંગેલા પગની
પછાડ સાથે કચડાતો
ઊંચી ઊંચી ડાળીઓ ફેલાવતો મારો વંશવેલો
ફ્લોરા ફાઉન્ટનનું સિમેન્ટી ફૂલ એક ડાળ પર ઝૂલવતો
ખીલતો એક પોયણે ચીંચપોકલીની નાઇટ સ્કૂલમાં......

– સિતાંશુ પોતાના મનોભાવને વર્ણવતાં કેટલેક સંદર્ભે ગદ્યના સ્તરેથી પણ રજૂઆત કરતા રહ્યા છે. પણ, આ રિથે, ગદ્યના માધ્યમમાં તેઓ છેક શુષ્કતાની નિકટ આવી જાય છે. વળી, એ સાથે કૃતિના વસ્તુસંયોનનો પ્રશ્ન પણ વિચારણીય બની રહે છે, ખાસ તો, વિગતોની પ્રચુરતા અને વર્ણ્યવસ્તુના નિર્બંધ વિસ્તારને લીધે કૃતિનું સુદૃઢ અને સુરેખ રૂપ અહીં બંધાતું નથી. કાવ્યવસ્તુના વર્ણનમાં ભાષાનાં રૂપો સાથે, કે વર્ણનો વિલક્ષણ નિબંધન સાથે, ક્રીડા કરવાનું સિતાંશુમાં આમેય પહેલેથી બળવાન વલણ રહ્યું છે. અને ‘હો ચી મિન્હ....’જેવી રચનામાં એનો અતિ વિલક્ષણ આવિષ્કાર જોઈ શકાશે. કૃતિના આરંભની આ કડીઓ જુઓ :

ટેન્ત કહું કચ ડાળે તો રે
ળેન્ક ટકું તચ હાડે તો તે
હેન્ક તળુ કક કેડા તો ચે
હેન્ક તેન્ક કચ ડાન્ક તોન્ક હાં...

– વર્ણ્યવિષનું કેવળ રવાનુકારી વર્ણસંયોજનોથી નાદ-ચિત્ર ઊભું કરવાનો સિતાંશુનો આ પ્રયોગ, એક પ્રયોગ લેખે, જરર રસપ્રદ લાગે; પણ, આ જાતની કાવ્યભાષાની ક્ષમતા કેટલી, એક રચનારીતિ લેખે એની ઉપકારતા કેટલી, એવા એવા પ્રશ્નોની પણ અવગણના ન થઈ શકે. આ સંગ્રહની ‘પ્રલય’ શીર્ષકની દીર્ઘરચના સિતાંશુની એક વણસી ગયેલી રચના છે. એની નિર્બળતા-નિષ્ફળતાનો, અલબત્ત, જુદા જુદા સ્તરેથી ખુલાસો આપી શકાય એમ છે. શીર્ષક ‘પ્રલય’ સૂચવે છે તેમ, આ કૃતિ જળપ્રલયની ઘટનાને આધુનિક માનવપરિસ્થિતિની વિષમતા અને વિચ્છિન્નતાના બોધ સાથે તેઓ જોડી દેતા જણાય છે. પણ, એ રીતે, કૃતિનું metaphorical structure પ્રતીતિકર બન્યું નથી. કાવ્યના આરંભના ખંડમાં પ્રલયજળના વિસ્તારનું વર્ણન કરી સિતાંશુ એમાં ‘પાપ’ના તત્ત્વને પ્રત્યક્ષ કરી આપવા ચાહે છે :

અને કહે કોઈ પાણી?
(પાપ શેનું? પાણી.)
આ પાપ આખા ગામને ખઇ જવા બેઠું છે.
પોતાના લાળભર્યા.
નર્યા લાળભર્યા બોખા મોંને ફાડીને
આ પાપ નર્યાં દાંત વગરના પણ
ઝેરી લાળભર્યા જડબા હલાવતું
કલબલતું ચોમેર પડ્યું છે....

– પ્રલયજળના વિસ્તારમાં ‘પાપ’નો આ જાતનો ધાર્મિક નૈતિક ખ્યાલ જોડાતાં કાવ્યાનુભવના સ્તરે ચોક્કસ અંતરાયો ઊભા થાય છે. (‘પાપ’નો આ ખ્યાલ ખ્રિસ્તી ધર્મની માન્યતાને અનુરૂપ લાગે છે, અને એ રીતે અહીં કવિતા અને માન્યતા [Belief]ના સંબંધનો પ્રશ્ન ઊભો થાય એમ છે.) તો કૃતિના વસ્તુસંયોજનના સ્તરેથી પણ અહીં ગંભીર પ્રશ્ન જન્મી પડે છે. પ્રલયજળને પરમ બ્રહ્મની જેમ સર્વવ્યાપી અને સર્વસ્પર્શી તત્ત્વ રૂપે વર્ણવ્યા પછી સિતાંશુ ઉત્તર ભાગમાં કાવ્યનાયકની આંતરિક ઝંખના આ રીતે રજૂ કરે છે : ‘આ પ્રલયપાણીમાંથી મને ઉગારી શકે તું જ નારી/તું જ મને ધારણ કર તારા ગર્ભના જળમાં. હવે આ ‘નારી’ પાત્ર તે કોણ? સર્વત્ર પાપયુક્ત ‘જળ’નો વિસ્તાર વર્ણવ્યા પછી એ ‘નારી’ના ‘ગર્ભના જળમાં’ પોતે ‘ધારણ’ થવાની ઝંખના શાને સેવે? એમ લાગે છે કે પ્રલયના જળતત્ત્વ પરત્વે કવિનું દૃષ્ટિબિંદુ મૂળથી જ સંદિગ્ધ રહી જવા પામ્યું છે. માનવમનમાં વૃત્તિવલણોમાં કે ભાવપરિસ્થિતિમાં આંતરવિરોધી તત્ત્વો ન હોય એમ તો નહિ, પણ કવિતાની રચનાપ્રક્રિયામાં એવા આંતરવિરોધોને પણ આત્મસાત્‌ કરી લે એવા ચૈતસિક કેન્દ્ર તરફ કવિની ખોજ હોય છે. અહીં એવીક કોઈ અનુભવની શોધ વરતાતી નથી. કૃતિના માળખામાં વિભિન્ન વસ્તુસંદર્ભો જે રીતે ગોઠવાયા છે તેમાં આંતરવિકાસનું કેન્દ્ર મળતું નથી. કારણકે અનુભવની ભિન્નભિન્ન સામગ્રીને અર્થપૂર્ણ આકારમાં જોડી આપે તેવું cohesive centre આ કૃતિને મળ્યું નથી. આમે ય આ દિર્ઘ રચનામાં વસ્તુવર્ણનના ઘણાખરા સંદર્ભો નિર્બંધપણે, શિથિલપણે વિસ્તરતા રહ્યા છે. અનુભૂતિની સૂક્ષ્માતિસૂક્ષ્મ રેખાઓ ઝીલી શકે, વ્યંજનાની સમૃદ્ધિને અત્યંત લાઘવભર્યાં કલ્પનોમાં કંડારી લે, એવી રચનાની શિસ્ત અહીં ખૂટે છે. કેટલાક વર્ણનના સંદર્ભો તો અતિ સ્થૂળ અને છીછરા રહી જવા પામ્યા છે. જેમ કે, ‘કુંવારાકાકાને દહાડા રહ્યા હોય ને...’ એ પંક્તિથી આરંભાતો વસ્તુસંદર્ભ એકદમ સ્થૂળ અને ચમત્કૃતિહીન વરતાય છે. એજ રીતે નીચેની પંક્તિઓ પણ અભિવ્યક્તિની સ્થૂળતાનું તરત ધ્યાનમાં આવે એવું દૃષ્ટાંત છે :

પાણીમાં નાખું છું આગ ને થાય છે છન્ન
બ્રહ્માંડનું સંગીત સર્જતી સ્પંદભરી નર્તે છે છોકરાઓ,
નવયૌવના કિશોરીઓ
મધ્યાઓ સ્તનોથી નિતંબોથી ભરી ભરી
રસબસતી
ભ્રમરના ચાપથી, દૃષ્ટિના શરથી, હોઠ,
જઘન, પ્રત્યંગના
સઘન પ્રહારથી આ અસહાય નારીઓ
કપોતિનીઓ, ઉલૂકવધૂઓ, સારસીઓ,
સિંહણો, મૃગલીઓ,
યક્ષિણી, કિન્નરી, માનવકન્યાઓ, શ્યામ,
ગૌર, પીત, ઘઉંવરણીઓ.
વિવશ કરી નાંખે છે વિશ્વામિત્રને બિલકુલ
બેહાલ કરી નાખે છે બી. એ.માં ભણતાં કિશોરોને....

– જોઈ શકાશે કે આ રીતના વાણીપ્રયોગમાં સૂક્ષ્મ અભિવ્યક્તિનું સ્થાનક આવેગભરી વાક્‌છટા લે છે. સિતાંશુની એ રીતની મૂળભૂત નિર્બળતા અહીં તરત છતી થઈ જતી દેખાય છે. આ સંગ્રહનાં ‘સમુદ્ર’(ક્રમ-૧), ‘ઘેરો,’ ‘પાણીમાં ઘણ પછાડું છું.’ ‘સમુદ્ર’(ક્રમ-૧૧), ‘પાણી’, ‘કૂવો’ અને ‘તરસ’ – જેવી રચનાઓમાં (તેમ ‘ઓડિસ્યૂસનું હલેસું’ની અનેક રચનાઓમાં) ‘જળ’તત્ત્વ ફરીફરીને કાવ્યવિષય બનીને આવ્યું છે. કવિ તરીકે સિતાંશુના સંવેદનતંત્રમાં જળતત્ત્વનું, એ રીતે, વિશિષ્ટ સ્થાન છે. પણ એ મહાભૂતને સિતાંશુ ખરેખર કાવ્યાનુભવમાં કેવી રીતે યોજે છે, કે સંયોજે છે, અને ક્યાં ક્યાં એ પ્રયોગ રહસ્યસભર બની આવ્યો છે, તેની વિગતે તપાસ કરવા જેવી છે. ‘ઘેરો’ આ સંગ્રહની બીજી એક નોંધપાત્ર રચના છે. માનવઅસ્તિત્વની વિષમતાનું એ એક વિલક્ષણ રીતિનું ચિત્રણ છે. આ સંદર્ભ જુઓ :

ડુંગરા સ્થિર છે.
ડુંગરાની કાળી લસકારતી લીટી ઉપર
ભૂરું આકાશ સ્થિર છે
આકાશમાં તેજભર્યાં નક્ષત્રો ચાલે છે.
પણ એમના ચાલવા સાથે કશો જ સંબંધ નથી.
આ રાંગ પર ફરી ફરીને મારા ફરવા સાથે ડાબેથી જમણે જાઉં છું,
કે જમણેથી ડાબે નક્ષત્રો ચાલે છે.
તે આકાશગંગાના ખળખળ વહેતાં પાણી સાથે મારી તરસને કશો જ સંબંધ નથી?

– એકંદરે સફાઈદાર અભિવ્યક્તિ અને વસ્તુવર્ણનની એકાગ્રતાને લીધે આરચના ઠીકઠીક પ્રભાવક બની આવે છે.

‘જટાયુ’ શીર્ષકની રચના પણ, એમાં રજૂ થયેલા એક નવા જ વિષયને કારણે, અને તેથી યે વધુ તો કદાચ એમાં પ્રયોજાયેલા રચનાબંધની અનોખી છટાને કારણે કાવ્યરસિકોનું ધ્યાન ખેંચી રહી છે. જટાયુના જીવનની કરુણ કમનસીબીનું સંવેદન અહીં મધ્યકાલીન આખ્યાનની રીતિએ રજૂ કરવાનું તેમણે તાક્યું છે. અલબત્ત, એ માટે પરંપરાગત પટબંધનું તેમણે આગવી રીતે નવસંસ્કરણ કર્યું છે. આરંભની આ કડીઓ જુઓ :

નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખણ નગરી લંકા
વચ્ચે સદસદ્‌જ્યોતિ વિહોણું વન પથરાયું રંક
ધવલ ધર્મજ્યોતિ, અધર્મનો જ્યોતિ રાતોચોળ
વનમાં લીલો અંધકાર, વનવાસી ખાંખાંખોળ.

– સંવેદન-વર્ણનની સંકુલતા આ રીતે સિદ્ધ કરવાને પ્રયોગ ધ્યાનપાત્ર છે. જો કે આ રચનાબંધ, છંદમાપ અને પદબંધનમાં આધુનિક કવિની સંકુલ લાગણીઓને અનુરૂપ નવસંસ્કરણ માટે કરેલો અવકાશ મળે એ મુદ્દાની પણ ગંભીરતાથી વિચારણા કરવા જેવી છે. ગમે તેમ, પણ સુરેખ પ્રસંગકથન અને સીધી વિકાસરેખાને કારણે આ રચનાનું સૌષ્ઠવ જાળવી શકાયું છે. પણ ‘જટાયું’ની બીજી નાનીમોટી અનેક રચનાઓના સંદર્ભે આકાર અને અભિવ્યક્તિના પ્રશ્નો ઊભા થાય જ છે. ‘સૂફી દોહરા’ જેવી રચનામાં કેટલીક કડીઓમાં દોહરાનો મેળ એકદમ તૂટે છે, કે ખંચકાય છે. એમાં અભિવ્યક્તિનું એકસરખું સૂક્ષ્મ સંવાદી પોત પણ રચી શકાયું નથી. ‘પ્રવીણ જોશીને અલ્વિદા’ – રચનામાં પદબંધની વિસંવાદિતા, ખૂંચે એટલી હદે, જોવા મળે છે, ‘અરે મસ્તક ફોડી પેટાવ્યું તેં લાલ રંગનું પરોઢ રે’, ‘અમે તો સૂતાં રહ્યાં જ ગાફિલ નીંદ – પછેડો ઓઢ રે,’ ‘અરે નવા લોકનાં નવાં નાટ્યને ફરીને ઇજન એવાં મળવાં રે’ – જેવી પંક્તિઓમાં સ્થૂળ ભાવાવેશ જ વધુ વરતાય છે. ‘તમિળ નારી’, ‘કેરળ કન્યા’, ‘કેરલ કામિનીનું ગીત’ અને ‘છોરી પંજાબની’ જેવી રચનાઓમાં તેઓ જુદા જુદા પ્રાંતની નારીપ્રતિમાનું જે રીતે ચિત્રણ કરવા પ્રેરાયા છે, તેમાં ય કથનવર્ણનની વિગતો અતિ સ્થૂળ અને ક્વચિત્‌ અરુચિકર લાગે છે. લયબંધ અને અભિવ્યક્તિના સ્તરેથી પણ એમાં એટલી જ વિસંવાદિતા રહી જવા પામી છે. મહંદ્‌અંશે ગીત – રચનાઓમાં સિતાંશુની બાનીની મર્યાદા જ એકદમ છતી થઈ જાય છે. અને, સિતાંશુની કવિતાની સિદ્ધિઅસિદ્ધિનો અદાંજ લગાવવા ચાહતા કોઈ પણ સહૃદય ભાવકે તેમની કવિતાના સંદર્ભે લય, પદબંધ, વસ્તુસંયોજન આદિ બાબતોનો વધુ ગંભીરતાથી ખ્યાલ કરવાનો રહે છે. દીર્ઘ-દીર્ઘતર કૃતિઓમાં વર્ણ્યવિષયનો શિથિલ વિસ્તાર કે ભાષાક્રીડનની તેમની વૃત્તિ તેમને સ્વચ્છ સુરેખ અને સુબદ્ધ આકારનિર્માણમાં અવરોધક બને જ છે; અને અહીં ‘જટાયુ’ની અનેક નાની મોટી રચનાઓમાં, લય અને પદબંધની વિસંવાદિતા પણ એટલી જ હાનિકારક નીવડી છે. પ્રશ્નોનો પ્રશ્ન, તેમની રજૂઆતમાં વાગ્મિતાનો આવેશ છે. વાગ્મિતાનો એ આવેશ જ તેમને શિથિલ પંક્તિઓના વિસ્તરણમાં વારંવાર ખેંચી જતો હોય એમ લાગે છે. નોધવું જોઈએ કે સંગ્રહની કેટલીક ટૂંકી રચનાઓ, એ રીતે, કંઈક સુખદ લાગણી જન્માવે છે. ‘ગેરીલાઓ ધપે છે’.... ‘સૂરજમુખી’ ‘આ ઝાડ છે’ ‘પાણીમાં ઘણ પછાડું છું’ ‘તારા’ ‘સમુદ્ર’ (ક્ર. ૭૧) ‘શાશ્વતી’ ‘સૂરજ’ જેવી રચનાઓ પ્રમાણમાં સ્વચ્છ સુરેખ ઘાટ પામી છે. સંગ્રહની જે કંઈ સાચી કાવ્યસમૃદ્ધિ છે તે એમાં જ મળી શકે. ‘જટાયુ’ની કવિતાઓમાંથી પસાર થયા પછી એમ લાગે છે કે સિતાંશુ એક નોંધપાત્ર કવિ તરીકે પ્રતિષ્ઠિત થયા હોવાં છતાં અહીં તેમનું કવિકર્મ વિદગ્ધતાના આવેશમાં એક યા બીજી રીતે વણસતું રહ્યું છે. આમ જુઓ તો પાશ્ચાત્ય કવિતાના તેઓ સારા અભ્યાસી રહ્યા છે. વૉલેસ સ્ટીવન્સ જેવા પ્રાણવાન કવિની કવિતા વિશે તેમણે માર્મિક દૃષ્ટિએ લખ્યું પણ છે. તો પછી પોતાના જ કવિકર્મ પરત્વે–ખાસ તો લય, પદબંધ, અને વસ્તુસંયોજન પરત્વે–તેઓ વધુક અંતર્મુખી બનીનેક સક્રિય બને, તો પરિણામો ઘણાંઘણાં સંતર્પક આવી શકે એમ છે.

* ‘વિ’ માર્ચ ૧૯૮૭

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> * * *