કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/રાઈનર મારિયા રિલ્કેને
સમર્પી શું તારી ક્ષણક્ષણ બધી આ જગતને
રગે જેના લોહી મહીં અણુઅણુ મૃત્યુ જીવન.
કહે, દુઃખાનંદે પુલકિત થઈને કવનમાં
પીધો ને પાયો તેં જીવનરસ એનો જ સહુને?
જુવાની શી વર્ષા પ્રથમ વરસે, ને ઝરણ જે
વહે છે તે સૌયે સતત નહિ ક્યારેય વહતા
કુમારા સ્રોતોને રણ–વન–શિલામાં અટકવું
પડે, વ્હે તોડી એ પુનરપિ ’થવા લુપ્ત જ થતા.
અને જ્યારે તારું ઉરઝરણ સૂક્યું તુજ વ્યથા
હશે કેવી જાણું – મુજ હૃદયની એ જ કથની.
ઉનાં આસું અંતસ્તલ ઊકળતો અગ્નિરસ એ
સમાવે તે જાણે ધરતી અથવા કો કવિ-ઉર.
રવિ રશ્મિ ફૂલે; ફળ રસ મહીં આ ધરતીના
અનંતાબ્દોની તેં કિરણ-રસ-સમૃદ્ધિ નીરખી.
મનુષ્યોના હાથે નીરખી વળી શક્તિ, ધરતીની
ભરે માટીમાં જે રસકસની સિદ્ધિ અણખૂટી.
‘અજંપે જાગું હું સતત, પ્રભુ! તારે જરૂર જો
પડે તો આવું હું, તુજ તરસ તો હું જ છીપવું.’
કહી એવું અર્પે હૃદય શકું એવું જ અરપી
અ-નામીને કિન્તુ, શરણ ઉર-દૌર્બલ્ય ગણતો.
ગુલાબી રાતાં વાં ધવલ ગુલ પીળાં ગુલ બધાં
ગુલોના પ્રેમી ઓ! સુમન-સુરભિએ મન ભર્યું
અને પિવાડી એ મઘમઘતી ખુશ્બો જગતને
અરે! એનો કાંટો તુજ મરણનું કારણ થયો.
‘વર્ષે વર્ષે જ્યાં ગુલો ખીલતાં ત્યાં
થાયે છોને મૃત્યુ-લેખો કવિના’—
તારા એ શબ્દ થાઓ જીવન-મરણ આલેખ મારા સદાના.
૧૪/૧૬-૭-૧૯૪૧ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૬-૧૭)