સોરઠી બહારવટીયા - 2/૧૧.: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧.|}} {{Poem2Open}} અંધારી રાતે દ્વારકામાંથી ગોરાઓની ગોળીઓ વીંધાત...")
 
(No difference)

Latest revision as of 12:38, 14 April 2022

૧૧.

અંધારી રાતે દ્વારકામાંથી ગોરાઓની ગોળીઓ વીંધાતા વાઘેરો જીવ લઈને નાસી છૂટ્યા છે. કોઈ એક બીજાને ભાળી શકતું નથી. કાંટામાં ક્યાંથી ગોરાની ગોળી વછૂટશે એ નક્કી નથી. દ્વારકા ખાલી કરીને બેભાન વાધેરો ભાગ્યા જાય છે. અંધારામાં દોડતા જતા એક આદમીનું ઠેબું એક નીચે પડેલા બીજા આદમીને વાગ્યું. દોડનાર વાધેર બ્હીનો નહિ, ઉભો રહ્યો. નીચે વળ્યો. પડેલા માણસને પડકાર્યો “તું કોણ?” ઘાયલ પડેલા આદમીએ આ પૂછનારનો અવાજ પારખ્યોઃ “કોણ સુમણો કુંભાણી, મકનપુરવાળો તો નહિ?” “હા, હું તો એજ. પણ તું કોણ?” “મને ન ઓળખ્યો? સુમણા! હું તારો શત્રુ : તારી અસ્ત્રીને ઉપાડી જનાર હું વેરસી!” “તું વેરસી! તું અાંહી ક્યાંથી?” “જખમી થઈને પડ્યો છું. વસઈવાળા મને પડ્યો મેલીને ભાગી ગયા છે, ને હું પોગું એમ નથી, માટે સુમણા! તું મને મારીને તારૂં વેર વાળી લે. મેં તારો ભારી અપરાધ કર્યો છે.” “વેર? વેરસી, અટાણે તું વેરી નથી. અટાણે તો બાપનો દીકરો છે. વેર તો આપણે પછી વાળશું, વેર જૂનાં નહિ થાય.” એટલું કહીને સુમણાએ પોતાના શત્રુને કાંધ પર ઉઠાવી લીધો. લઈને અંધારે રસ્તો કાપ્યો. ઠેઠ વસઈ જઈને સહીસલામત ઘેર મૂકીને પાછો વળ્યો.