મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૮): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૮) |દયારામ}} <poem> હાવાં હું સખી! નહીં બોલું રે નંદકુંવરની સ...")
 
(No difference)

Latest revision as of 07:29, 19 August 2021


પદ (૮)

દયારામ

હાવાં હું સખી! નહીં બોલું રે નંદકુંવરની સંગે;
મુને ‘શશીવદની’ કહી છે રે ત્યારની દાઝ લાગી છે અંગે.

ચંદ્રબિંબમાં લાંછન છે, વળી રાહુ ગળે ખટ માસે રે;
પક્ષે વધે ને પક્ષે ઘટે, કળાપૂરણ નિત્ય તે નવ પ્રકાશે.

તે કરતાં ‘ચંદ્રવદની’ કહી તો કર્યાં હું ને ચંદ્ર એક રાસે રે;
ત્યારે મુજ મુખ પાખે શું અટક્યું છે? જાશે ચંદ્ર આકાશે.

નહીં તો શિવને સમીપ રાખશે ને ભાલે ચંદ્ર દેખાશે રે;
પ્રસન્ન થઈ પાસે રહેશે, નહિ તો કહેવાય નહીં નિજ દાસે.

એવડો શ્રમ પણ શીદ કરે? જુઓ, ચંદ્ર પોતાની પાસે રે;
વામ ચરણમાં ઈંદુ અચળ છે, શીદ રહે અન્યની આશે?

દયાના પ્રીતમને કહે સખી, જુઓ, શશીમુખ સરખું સુખ પાસે રે;
કોટિ પ્રકારે હું નહીં આવું એવા પુરુષની અડાસે.